![]()
National News: કર્ણાટકની રાજનીતિમાં નવાજૂનીના એંધાણ છે. સત્તાનો સંઘર્ષ હજુ અંદર ખાને ચાલી રહ્યો છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મુલાકાત કરતાં મુખ્યમંત્રી બદલાય છે તેવી ચર્ચાઓ ફરી જોર પકડયું છે. મહત્વનું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે જેમનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. હવે સિદ્ધારમૈયા અને શિવકુમાર બંધ બારણે સત્તા માટે અલગ અલગ રાજરમત રમી રહ્યા છે.
‘મેં અને સિદ્ધારમૈયાએ બંને કહ્યું છે કે નિર્ણય હંમેશા હાઈકમાન્ડ કરશે’
જો કે મુલાકાત બાદ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું હતું કે ‘તેમણે કોઈ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી નથી અને 27 ડિસેમ્બરે યોજાનારી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકને ધ્યાનમાં રાખીને તથા મનરેગાને બદલવા માટે કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા કાયદા અંગે મારા વિચારો રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે શેર કર્યા છે. ખડગે સાથે અન્ય કોઈ મુદ્દાઓ પર ચર્ચા કરી નથી. આમ કરવાની કોઈ જરૂર નથી, હું આવું કરીશ નહીં, હાલમાં એવું કંઈ નથી. સિદ્ધારમૈયા અને મેં બંને કહ્યું છે કે અમે હાઇકમાન્ડના નિર્ણય અનુસાર કામ કરીશું, અને અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ.’
‘હું આવા પ્રશ્નોના જવાબ આપીશ નહીં’
આ ઉપરાંત શિવકુમારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેઓ પાર્ટીના કાર્યકર રહેશે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘હું આજીવન પાર્ટી કાર્યકર છું ભલે ગમે તે હોદ્દો હોય. મેં પાર્ટી કાર્યકર અને પ્રમુખ બંને તરીકે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો છે. મેં પાર્ટી પોસ્ટરો લગાવ્યા છે, સફાઈનું કામ કર્યું છે. મેં કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કર્યું છે. હું અહીં ફક્ત સ્ટેજ પર બેસીને ભાષણ આપવા આવ્યો નથી. મેં પાર્ટી માટે બધું જ કર્યું છે., જ્યારે નાયબ મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે તેમને તેમની મહેનતનું ફળ ક્યારે મળશે, ત્યારે તેમણે કહ્યું કે, હું આવા પ્રશ્નોના જવાબ આપીશ નહીં.
સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે યોજાઈ હતી બ્રેકફાસ્ટ મીટિંગ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે (DK Shivakumar) 2 ડિસેમ્બરે સવારે શિવકુમારના નિવાસસ્થાને એક બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને પોતાની સંપૂર્ણ એકતાનો સંદેશ આપ્યો છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ મુલાકાત બાદ બંને દિગ્ગજ નેતાઓએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દાઓ પર એકજૂટ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ‘શિવકુમાર અને હું ભાઈ જેવા છીએ અને અમે પાર્ટી માટે મળીને કામ કરી રહ્યા છીએ. જ્યારે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને હાઇકમાન્ડ નક્કી કરશે, ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી બનશે. મંગળવારે હું શિવકુમારના ઘરે બ્રેકફાસ્ટ માટે ગયો હતો, તે પહેલા શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમે બેઠક યોજી છે.’
શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે : કોંગ્રેસ નેતાનો દાવો
બીજી તરફ કોંગ્રેસના રામનગરના ધારાસભ્ય એચ. એ. ઇકબાલ હુસૈને (H.A.Iqbal Hussain) થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે ‘નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ. ડી. કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જોઈએ. 99 ટકા શક્યતા છે કે, ડી. કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. આમ 6 કે 9 જાન્યુઆરી આ બે તારીખો છે.’
ઘણા સમયથી કર્ણાટક કોંગ્રેસમાં ‘CM ખુરશી’ની બબાલ
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટક કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને જંગ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના સમર્થકો આ મામલે આમને-સામને છે. કોંગ્રેસ હાઇકમાન્ડે દરમિયાનગીરી કર્યા પછી, સિદ્ધારમૈયા અને શિવકુમારે તેમનું વલણ ઢીલું કર્યું અને બંને નેતાઓ એકબીજાના ઘરે નાસ્તો કરવા પહોંચ્યા હતા. બંને વચ્ચે બ્રેકફાસ્ટ મીટિંગ યોજાયા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલી ચર્ચા આમ તો બંધ થઈ ગઈ હતી, જોકે હવે મંત્રી સતીશના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અને ઇકબાલના દાવાથી રાજ્યના રાજકારણમાં ફરી અટકળો શરુ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા
સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી પદે અઢી વર્ષ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, 20 મે-2023ના રોજ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. આ દરમિયાન સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ દરમિયાન એવી ચર્ચા હતી કે, સીએમ પદ માટેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને શિવકુમાર (DK Shivakumar) અઢી-અઢી વર્ષ સત્તા સંભાળશે. જોકે તેની સત્તાવાર જાહેરાત થઈ ન હતી. આવી સ્થિતિમાં 20 નવેમ્બર-2025ના રોજ સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકે અઢી વર્ષ પૂરા થઈ ગયા છે.










