![]()
Ahmedabad News : અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનને લઈને પડોશી વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. 26 ડિસેમ્બરની રાત્રે થયેલા ઝઘડામાં પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા એક પરિવારના ત્રણ સભ્યોને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પાલડીમાં રખડતા શ્વાન મામલે પડોશી વચ્ચે અથડામણમાં ત્રણને ઈજા
પ્રાથમિક માહિતી અહેવાલ (FIR) મુજબ, આ ઘટના રાત્રે 10:15 વાગ્યાની આસપાસ પાલડી ગામમાં હનુમાજી મંદિર પાસેના એક નિવાસસ્થાનની બહાર બની હતી. ફરિયાદી કોમ્પ્યુટર ઓપરેટર ધુવિલ વાઘેલાએ આરોપ લગાવ્યો કે, તે તેમના ઘરની બહાર ઉભો હતો ત્યારે એક રખડતો શ્વાન પરિસરમાં ઘૂસી આવ્યો હતો. શ્વાનને ભગાડવા માટે ધુવિલે બૂમો પાડતા પાડોશી અમરત વાઘેલા કથિત રીતે ગુસ્સે થયા હતા અને ફરિયાદ પર લાકડી ઉગામી હતી.
FIRમાં જણાવાયું છે કે, શાબ્દિક ઝઘડો ટૂંક સમયમાં શારીરિક બન્યો હતો. જેમાં ધુવિલે આરોપ લગાવ્યો કે અમરતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને લાકડીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. મારથી બચવા માટે ફરિયાદીને ડાબી કોણીમાં નાની ઈજા થઈ હતી. આ દરમિયાન અવાજ સંભળાતા ધુવિલના માતા-પિતા, પ્રકાશભાઈ અને ગાયત્રીબેન ઘરની બહાર આવી ગયા, જેના કારણે વિવાદ વધુ વધ્યો હતો.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે, અમરતના પુત્રોમાં હિરેન અને કેવલ અને તેમની પુત્રી ડિમ્પલ પણ ઝઘડામાં જોડાયા હતા. હિરેને કથિત રીતે ઈંટ ઉપાડી ફરિયાદીને મારવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ફરિયાદીના ઘરે લગાવેલા વીજળી મીટરને નુકસાન થયું હતું. કેવલ પર ફરિયાદી પર હુમલો કરવાનો આરોપ છે, જ્યારે ડિમ્પલે ગાયત્રીબેનના જમણા પગ પર લાકડી વડે માર માર્યો હતો, જેના કારણે તેમને સામાન્ય ઈજા થઈ હતી.
પરિસ્થિતિ વધુ વણસી ગઈ કારણ કે કથિત રીતે ઈંટો ફેંકવામાં આવી હતી, જેમાંથી કેટલીક ઈંટો ફરિયાદીના ઘરની છત પર પડી હતી. ફરિયાદીની માતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે હુમલાખોરો ભાગી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ: ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
ફરિયાદી ધુવિલ તેના માતા-પિતા, પત્ની અને નાના ભાઈ સાથે રહે છે. જ્યારે એજ વિસ્તારમાં રહેતા અમરત વાઘેલા, હિરેન વાઘેલા, કેવલ વાઘેલા અને ડિમ્પલ વાઘેલા સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદના આધારે પાલડી પોલીસે હુમલો, ઇજા પહોંચાડવા અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધ્યા છે અને ઘટના દરમિયાન નોંધાયેલા નિવેદનો નોંધવા અને મિલકતના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.










