Jamnagar ST Bus Stand: વાહન વ્યવહાર મંત્રી વારંવાર ગર્વની લાગણી વ્યક્ત કરતા હોય છે કે એસટી બસની સુવિધા અમે વધારી છે, નવી બસો જોડી છે. પરંતુ ‘સલામત સવારી, એસ.ટી. અમારી’નું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઊભા કરે છે. શહેરનો એસ.ટી. ડેપો પોતાની ખખડધજ બસો માટેની અલગજ ઓળખ ધરાવે છે અને તેમાં નંબર 1 આવે છે.
એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ
એસ.ટી. બસને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેમાં દરરોજ હજજારો લોકો મુસાફરી કરતા હોય છે. પરંતુ આ જીવાદોરી સમાન એસ.ટી. બસની હાલત ખૂબ જ ખરાબ છે. જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી એટલે કે 99 બસ તો નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. છતાં આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય.
કટાઈ ગયેલા પતરા, ફાટેલી-તૂટેલી સીટો, બારીઓ અને આગળના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલા દરવાજા આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબુર છે. એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી, એટલે મુસાફરોને ન છુટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે.
નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગયેલ છે. ખખડધજ એસ.ટી. બસોમાં સૌથી વધુ જૂની બસો જામનગર ડેપો પાસે છે, તેનો નંબર 1 આવે છે. જ્યારે બીજો ક્રમ ખંભાળિયા એસ.ટી. ડેપોનો છે.