Assam Violence : વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ સહિતના જિલ્લામાં હિંસા ભડક્યા બાદ હવે આસામમાં હિંસા ભડકી છે. રાજ્યના સિલચરમાં આજે (13 એપ્રિલ) દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. પોલીસે દેખાવકારોને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો છે.
સિલચર વક્ફ એક્ટનો ભારે વિરોધ
મળતા અહેવાલો મુજબ સિલચર (Silchar)માં લગભગ 400 લોકો વક્ફ સંશોધન એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે, એક્ટના વિરોધમાં લગભગ 100 લોકો કોઈપણ મંજૂરી વગર સિલચર શહેરના બેરેન્ગા વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
400 લોકો દેખાવો કરવા રસ્તા પર ઉતરી આવ્યા
તેમણે કહ્યું કે, ‘વક્ફ એક્ટના વિરોધમાં લગભગ 300થી 400 લોકોએ રસ્તો જાણ કર્યો હતો અને દેખાવો કરવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને કાબુમાં લેવાનો અને સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો તો દેખાવકારોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ટોળાને કાબુમાં લેવા અને તેમને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે.
આ પણ વાંચો : ‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ
ટોળાનો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
પોલીસે કહ્યું કે, ‘હાલ આ વિસ્તારને ખાલી કરી દેવાયો છે અને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે, જોકે હજુ સુધી કોઈને પણ કસ્ટડીમાં કે ધરપકડ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર દેખાવકારોના વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ કાળા ઝંડા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યો છે. તેઓ વક્ફ કાયદાનો રદ કરવાની માંગ કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ‘400થી વધુ હિન્દુને ભાગવા મજબૂર કરાયા’ મુર્શિદાબાદની હિંસા મુદ્દે શુભેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો