Mansukh Vasava : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ખાતે ઓ.એન.જી.સી. કંપનીના સહયોગથી ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા,આદિજાતિ ગુજરાત મોરચાના ઉપ પ્રમુખ શંકર વસાવાએ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં મનસુખ વસાવાએ અંગ્રેજી ભણવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આદિવાસી વિદ્યાર્થીઓને મેડિકલ લાઈનમાં જવું હશે તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ભણવા જ પડશે. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિના તમે ડગલું ભરી શકવાના નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘માણસ જેમ હવા, પાણી વગર જીવી શકતો નથી તેમ આગામી સમય એવો આવશે કે માણસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ટેક્નોલોજી વિના જીવી શકવાનો નથી તે પશુ બરાબર છે. હું ટીકા કે અપમાન નથી કરતો પરંતુ હકિકત છે કે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિના તમે કોઇપણ ક્ષેત્રમાં ચાલી શકશો નહી.’
આ પણ વાંચો: રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત, મૃતકોના પરિજનોને 15 લાખની સહાય
વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન થોડા નબળા હશે તો ચાલશે પણ અંગ્રેજી તો તમે પાવરફૂલ રાખજો. જેનું અંગ્રેજી પાક્કુ હશે તે દુનિયામાં ક્યાંય પાછો પડવાનો નથી. જે છોકરો પોપટની માફક ફટફટ બોલતો હશે તે ક્યાંય પાછો પડવાનો નથી. હું આપણી ભાષા ગુજરાતી-હિન્દીની ટીકા કરતો નથી. આ ટેબલેટમાં દુનિયાનું જ્ઞાન તેનો કેવી સદઉપયોગ કરવો તે આપણા પર આધાર છે.