![]()
– વાસદથી અડાસ રેલવે ટ્રેક વચ્ચે
– રેલવે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી વાલીવારસા મામલે તપાસ હાથ ધરી
આણંદ : આણંદ તાલુકાના વાસદથી અડાસ રેલવે ટ્રેક વચ્ચે માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ તાલુકાના વાસદ-અડાસ રેલવે સ્ટેશન વચ્ચે ગઇ કાલ સમી સાંજના સુમારે અજાણ્યા ૫૦ વર્ષ આસપાસના આધેડ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રેલવે ટ્રેક ઉપર આવી ચડેલી માલગાડી ટ્રેનની ટક્કર વાગતા આધેડને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડયાં હતા અને આણંદ રેલવે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આધેડના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આણંદ રેલવે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી મૃતક આધેડ કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.










