Politics News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ વચ્ચે મંગળવારે થયેલી મુલાકાત અને બુધવારે સતત બીજા દિવસે ભાજપના ટોપ નેતાઓની બેઠકને લઈને રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપમાં ટુંક સમયમાં જ મોટો સંગઠનાત્મક ફેરફાર થઈ શકે છે અને નવા પાર્ટી અધ્યક્ષ જાહેર કરી શકાય છે.
જોકે પાર્ટીના અધિકારીઓએ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતને એક ઔપચારિક પ્રક્રિયા ગણાવી છે, જેમાં વડાપ્રધાન દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને પોતાની વિદેશ યાત્રાઓની માહિતી આપે છે. પરંતુ સૂત્રોના અનુસાર, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય પર પણ વાતચીત થઈ શકે છે, જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભામાંથી પસાર થયેલા બિલો પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાની સમય મર્યાદા નક્કી કરાઈ છે. સરકાર હવે આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજી દાખલ કરવાની તૈયારીમાં છે.