![]()
Amreli News: મહાકાય ઉદ્યોગોના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં બસસેવાના નામે સાવ મીંડુ છે. અહીં ધારાસભ્યે લીલી ઝંડી આપીને શરૂ કરાવેલા રૂટ જુદા-જુદા બહાનાઓ હેઠળ વિભાગીય નિયામક અને ડેપોમેનેજરે બંધ કરાવી દીધા પછી શરૂ થયા જ નથી. આ પંથકમાંથી ભાવનગર, વેરાવળ, પોરબંદર, અમરેલી,જામજોધપુર જવા માટે બસની ફ્રિકવન્સી ઓછી હોવાથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે. જ્યારે સામી બાજુ એસટી તંત્ર ઓછા સ્ટાફની કેસેટ વગાડે છે.
બસની ફ્રિકવન્સી ઓછી હોવાથી મુસાફરો હેરાન
રાજુલા પંથકમાંથી બહાર જવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લીલીઝંડી દર્શાવીને રૂટો શરૂ કરાવ્યા હતા. જેમાં સવારે 5 કલાકે રાજુલા ભાવનગર, બપોરે બે કલાકે રાજુલા રાજકોટ, જૂનાગઢ વગેરે રૂટો શરૂ કરાવ્યા હતા. પરંતુ બીજા જ દિવસથી આ રૂટો એસટીએ યેનકેન બહાના બતાવીને બંધ કરી દીધા છે. અહી ડ્રાઈવર નથી, કંડકટર નથી રસ્તો ખરાબ છે એવા બહાના બતાવી દેવામાં આવે છે.
અહીથી સુરત કે મુંબઈ કે જૂનાગઢ જવા માટે એક પણ બસ નથી. રાજુલાથી ભાવનગર જવું હોય તો બપોરે 11થી 2 સુધી કોઈ બસ મળતી નથી, વેરાવળ કે પોરબંદર જવા માટે છે ક 11 વાગ્યે, વેરાવળ કે પોરબંદર જવા બપોરે 3 વાગ્યે એમ લાંબા સમય અંતરે બસ મળે છે. અમરેલી જવા સાંજે 5થી રાતના 8 સુધીમાં એક પણ બસ મળતી નથી. રાજુલા જામજોધપુર રૂટની આવક આપતી બસ વર્ષોથી ચાલતી હતી. છતાં આ બસ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: વટવામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત
એસટી તંત્રના પાપે એભલવડ, પીસડી, લોર, ધારાબંદર, બાબરકોટ, વાઢ, વારાહસ્વરૂપ ભાકોદર, ઉસરિયા, ધારાનાનેસ, ભેરાઈ રામપરા, નેસડી, શિયાળ જેટી, નવાામ, મહુદડા, જીંઝકા, ધકારેશ્વર, ભાક્ષી, મોટા ભંડારિયા, મોરંગી, મોભીયાણા, છાપરી, ડોળિયા, બાલાપર, મહુન્દ્રા, મજાદર, વડગામ વગેરે ગામના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.










