![]()
આવાસ યોજના મામલે મનદુઃખ કારણભૂત
ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરીને ફરિયાદ ખોટી હોવાના આક્રોશ સાથે લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચતા ગરમાવો
ઉપલેટા,ભાયાવદર: ભાયાવદર નગરપાલિકાની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા હુમલો કરીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે લોકોનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને ન્યાયીક તપાસની માગણી સાથે આક્રોશ ઠાલવ્યો હતો.
વિગત એવી છે કે ભાયાવદર નગરપાલિકાના ન્યાયિક સમિતિના ચેરમેન નીરજભાઈ પાલવજીભાઈ મકવાણા (ઉ.૩૩, રહે. આંબેડકરનગર, ભાયાવદર) પર ગત રાત્રે ભરત ભીમા ડોડીયા તથા મગન હાજા સોલંકી નામના શખ્સોએ લાકડી વડે હુમલો કરતા માથાના ભાગમાં ઇજા થતા પ્રથમ ઉપલેટા બાદ જૂનાગઢ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જેની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, આવાસ યોજનાનો લાભ મળતો નથી એવી બાબતનો ખાર રાખીને બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી પીએસઆઇ આર. એન. ડૈરયાએ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ આ પોલીસ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે ગત રાત્રે જ પોલીસ સ્ટેશને લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને આક્રોશ ઠાલવ્યો હતો કે, ચેરમેન નીરજભાઈ મકવાણા અને બે શખ્સોએ ગઈકાલે સાંજે એક મહિલાની છેડતી કરી હતી અને આવાસ યોજનાનો લાભ લેવો હોય તો રૂપિયા આપવા કહ્યું હતું. જેની પોલીસ ફરિયાદ નોંધાવવા જવાના હોવાની ખબર પડી જતાં તેણે પોતાની જાતે જ ઈજા કરીને હુમલાની ખોટી ફરિયાદ નોંધાવી છે, તેવો આક્ષેપ કરી ન્યાયીક તપાસની માંગ કરી હતી.










