![]()
પ્રતિકાત્મક તસવીર
Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આદપોકાર ગામે શિવ મંદિર નજીક આવેલા કુંડમાં પડી જતાં માતા અને તેની બે બાળકીઓ ડુબ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી બંને બાળકીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે માતાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.










