![]()
– મનપાના વિકાસ માટે ગત વર્ષે 19 ફેબુ્રઆરીના રોજ 897 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું
– 326 કરોડની માતબર રકમ ફાળવીને દાંડી માર્ગને આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત સહિત શહેરની કાયાપલટ કરવાના વાયદા વિસરાયા : ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ વળતરમાં શૂન્ય સુવિધા
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે ગત વર્ષે ૧૯ ફેબુ્રઆરીના રોજ રજૂ કરાયેલું ૮૯૭ કરોડનું પ્રથમ બજેટ આજે એક વર્ષ પૂર્ણ થયા પછી પણ માત્ર કાગળ પરનો વાઘ સાબિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ કરોડની ગ્રાંટ વણવપરાયેલી રાખીને પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે, જેને કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરનો નકશો બદલી નાખવાની ગુલબાંગો સાથે કમિશનર દ્વારા ૮૯૭.૧૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે ૩૨૬ કરોડ જેવી માતબર રકમ ફાળવીને દાંડી માર્ગને આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત સહિત શહેરની કાયાપલટ કરવાના વાયદા કરાયા હતા. જોકે આજે પ્રથમ બજેટના એક વર્ષના અંતે શહેરના આંતરિક માર્ગોની હાલત ઠેરની ઠેર છે. મનપાના વહીવટી તંત્ર પાસે વિકાસ કામો માટે નાણાંની કોઈ અછત નથી, તેમ છતાં આયોજનના અભાવે ૧૦૦ કરોડ જેટલી ગ્રાંટ વપરાયા વગર પડી રહી હોવાનું મનપાના જ પટ્ટાંગણમાં ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધી એક પણ નવા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જે સાબિત કરે છે કે બજેટ માત્ર જાહેરાતો પૂરતું જ સીમિત હતું. પ્રજા પાસેથી ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ વળતરમાં શૂન્ય સુવિધા મળતા નાગરિકો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.
100 કરોડની ગ્રાંટ વણવપરાયેલી પડી રહી
રાજ્ય સરકાર દ્વારા નડિયાદના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાંટ પૈકી ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાંટ વપરાઈ નથી. તંત્ર પાસે નાણાં હોવા છતાં ટેન્ડરિંગ પ્રક્રિયા કે અમલીકરણમાં રસ ન દાખવતા શહેરનો વિકાસ રૂંધાયો છે. આ જંગી રકમનો ઉપયોગ થયો હોત તો આજે શહેરની પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ફાળવણી માત્ર કાગળ પર
બજેટમાં આરોગ્ય માટે ૧૭.૭૫ કરોડ અને શિક્ષણ માટે ૯.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં નવા ચાર યોગા અને વેલનેસ સેન્ટર તેમજ આંગણવાડીઓના અપગ્રેડેશનની વાતો હતી. વાસ્તવમાં એક વર્ષમાં એક પણ નવું આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું નથી કે શાળાઓની હાલતમાં કોઈ સુધારો દેખાયો નથી.
રખડતા પશુઓનો ત્રાસ અને તંત્રની નિષ્ક્રિયતા
શહેરના માર્ગો પર રખડતા પશુઓના ડબ્બા પૂરવા અને એનીમલ હોસ્ટેલ બનાવવા માટે ૫.૮૦ કરોડની ફાળવણી કરાઈ હતી. પશુઓ માટે આરએફઆઈડી ટેગ લગાવવાની જાહેરાત પણ માત્ર ફાઈલોમાં જ રહી ગઈ છે. આજે પણ શહેરીજનો પશુઓના અડ્ડા અને અકસ્માતના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યાં છે.
પર્યાવરણ અને તળાવોની જાળવણીમાં નિષ્ફળતા
તળાવોના બ્યુટીફિકેશન અને પર્યાવરણ લક્ષી કામો માટે ૪૦.૫૦ કરોડની જોગવાઈ બજેટમાં હતી. મીયાવકી પ્લાન્ટેશન અને અર્બન ફોરેસ્ટ ઉભા કરવાના સપના બતાવાયા હતા, પણ જમીની હકીકત અલગ છે. શહેરના તળાવો આજે પણ ગંદકીથી ભરેલા છે અને વૃક્ષારોપણના નામે માત્ર આંકડા બતાવવામાં આવ્યા છે.
નવી ટી.પી.ના બણગાં વચ્ચે જૂની યોજનાઓ પણ લટકી
ગત વર્ષે બજેટ રજૂ કરતી વખતે વહીવટી તંત્રએ એવા બણગાં ફૂંક્યા હતા કે, એક વર્ષમાં ૨ નવી ટી.પી. સ્કીમ તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. જોકે વાસ્તવિકતા એ છે કે, નવી ટી.પી. તો દૂરની વાત છે, જૂની મંજૂર થઈ ગયેલી ટી.પી. સ્કીમોમાં પણ તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં કોઈ જ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. ટી.પી. સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટ્સના કબજા લેવા, તેનું ફેન્સિંગ કરવું કે કમ્પાઉન્ડ વોલ બનાવવા જેવી પ્રાથમિક કામગીરી પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. જેથી ઉચ્ચ અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગ કમિટીની કાર્યશૈલી સામે પણ પ્રશ્નો ઉઠયાં છે.










