Maharashtra MVA Rajya Sabha Seat: મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને મહા વિકાસ આઘાડી(MVA) ગઠબંધનમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઠબંધન પાસે વિધાનસભામાં માત્ર એટલું જ સંખ્યાબળ છે કે તેઓ સાતમાંથી માત્ર એક બેઠક જીતી શકે તેમ છે. આ એક બેઠક માટે શિવસેના(UBT) એ પોતાનો દાવો રજૂ કર્યો છે. આદિત્ય ઠાકરેએ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ટાંકીને જણાવ્યું હતું કે, ગણિત મુજબ આ બેઠક તેમના ભાગે આવવી જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી.
શરદ પવાર ફરી મેદાનમાં ઉતરશે?
બીજી તરફ, રાજ્યસભાની આ જ બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય રાઉતે માહિતી આપી હતી કે, શરદ પવારનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે અને તેઓ ફરીથી ગૃહમાં પરત ફરવા માંગે છે. શરદ પવાર જેવા કદાવર નેતા જ્યારે ચૂંટણી લડવાની તૈયારી બતાવે, ત્યારે ગઠબંધને આ મુદ્દે ગંભીરતાથી વિચારવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો શરદ પવાર રાજ્યસભામાં જાય, તો તેના બદલામાં શિવસેના(UBT) આગામી વિધાન પરિષદની એક બેઠક પોતાની માટે માંગી શકે છે.
ઉદ્ધવ ઠાકરે માટે વિધાન પરિષદની માંગ
સંજય રાઉતે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ વિધાન પરિષદમાં ફરીથી પ્રવેશવા માટે આગ્રહ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. રાઉતના મતે, સંગઠન અને કાયદાકીય બાબતો માટે ઉદ્ધવ ઠાકરેની વિધાનમંડળમાં હાજરી અનિવાર્ય છે. આ અંગે આગામી એક-બે દિવસમાં અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા
વિધાનસભાનું ગણિત અને પક્ષોની સ્થિતિ
ચૂંટણી પંચે 16 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની 7 બેઠકો માટે ધારાસભ્યોની સંખ્યા આ મુજબ છે.
– ભાજપ (131 બેઠકો): 4 બેઠકો જીતી શકે છે.
– શિંદે જૂથ (57) અને અજિત પવાર જૂથ (40): બંને 1-1 બેઠક મેળવી શકે છે.
– MVA(શિવસેના UBT 20, કોંગ્રેસ 16, શરદ પવાર 10): ગઠબંધન જો એકસાથે રહે તો જ 1 બેઠક જીતી શકશે.
એક ઉમેદવારને જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડશે. હવે જોવાનું એ રહેશે કે ગઠબંધનના ત્રણેય પક્ષો આ એક બેઠક માટે કેવો સમજૂતીભર્યો માર્ગ કાઢે છે.











