![]()
ACB Crackdown in Surat: સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર (વર્ગ-1) અને એક પત્રકાર વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કર્યો છે. બાંધકામ પર ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદીના બાંધકામ પર પાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આ ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંત ગણેશવાલા અને એક સ્થાનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણે મેળાપીપણું કર્યું હતું. આ બંનેએ શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે રકઝક બાદ 15 લાખ રૂપિયા પર નક્કી થઈ હતી. લાંચનો પહેલા હપ્તા તરીકે 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું.
આ પણ વાંચો: પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો
ACBનું છટકું અને આરોપીનો પલાયન
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 19મી ફેબ્રુઆરીના રોજ ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પત્રકાર મહંમદ ઇસ્માઇલ 4 લાખ રૂપિયાની રોકડ સ્વીકારવા માટે આવ્યા હતા. લાંચની રકમ સ્વીકાર્યા બાદ, ACBની ટીમ ત્રાટકે તે પહેલા જ પત્રકાર રોકડા લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા.
ACBએ આ મામલે કાર્યપાલક ઇજનેર અને પત્રકાર બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાઈત ગેરવર્તણૂક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. હાલમાં ACBની અલગ-અલગ ટીમો આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ ચલાવી રહી છે. આ ઘટનાથી સુરત મહાનગરપાલિકાના તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.










