M.K.B. યુનિવર્સિટી, ભાવનગર સંલગ્ન શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે તા.૨૧-૦૨-૨૦૨૬ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે કોલેજના સભાખંડમાં “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવામાં આવેલ.
કાર્યક્રમનો પ્રારંભ સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. સદર કોલેજના ગુજરાતી વિભાગના વડા પ્રા. વિજયભાઈ પરમારે પોતાના વકતવ્યમાં સર્વેને માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવી, માતૃભાષાના મહત્વ તેમજ માતૃભાષા સામે ઊભા થયેલ પડકારોની વિગતે ઉદાહરણો સાથે વાત કરી. સદર કોલેજની ગુજરાતી વિભાગની પ્રાધ્યાપિકા ડૉ. પારૂલબેન પ્રબતાણીએ સાંપ્રત સમયમાં માતૃભાષાની શું સ્થિતિ છે ? અને ભવિષ્યમાં માતૃભાષામાં કેવા કેવા પરિવર્તનો થશે ?
આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર ડૉ.અશોકભાઇ પુરોહિતે કહ્યું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. લેખન કાર્યમાં ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ આર. ચુડાસમા સાહેબે પોતાના વકતવ્યમાં બહુ જ હળવી અને આગાવી શૈલીમાં માતૃભાષાનું ગૌરવ અને મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે માતૃભાષા આપણી સંસ્કૃતિ અને અસ્મિતા હોવાથી તેની મહત્તાની જાળવણી કરવા આહવાન કર્યું હતું.
ત્યારબાદ કોલેજમાં ગુજરાતી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ વચ્ચે “મારી ભાષા, મારુ ગૌરવ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૨ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, જેમાં પ્રથમ ક્રમાંકે કુ.વાઢેર પ્રિયંકા દિલીપભાઈ (સેમ-૨), દ્વિતીય ક્રમાકે કુ.મકવાણા અર્પિતા રણછોડભાઇ (સેમ-૬), તૃતિય ક્રમાંકે કુ.ચૌહાણ દિશા નરોત્તમભાઇ વિજેતા જાહેર થયા તથા વિજેતા જાહેર થનાર વિદ્યાર્થિનીઓને રોકડ પુરસ્કાર તથા ગિફ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમનો હેતું વિદ્યાર્થિનીઓ અને સમાજમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે જાગૃતિ લાવવાનો રહ્યો. કાર્યક્રમનું સંચાલન તૃતિય વર્ષની ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની કુ. અંજલિ તથા કુ. અર્પિતા દ્વારા કરવામાં આવેલ.
આભારવિધિ ડૉ. પારૂલબેન પ્રબતાણીએ કરેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ આર. ચુડાસમા સાહેબના યોગ્ય માર્ગદર્શન નીચે તથા ગુજરાતી વિભાગ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો.










