![]()
– લેબ રિપોર્ટમાં પાણી પીવા માટે બિનઆરોગ્યપ્રદ જાહેર
– લગ્ન પ્રસંગના ભોજન બાદ 200 લોકો બીમાર પડયાં હતા, તપાસમાં પાણીમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા જણાયા
નડિયાદ : ખેડાના સિંજીવાડામાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ પીવાના પાણીની લાઈનમાં ભળતું ગટરનું પાણી મુખ્ય કારણ હોવાનું સાબિત થયું છે. અમદાવાદ લેબોરેટરીના અહેવાલમાં પાણીમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા હોવાની પુષ્ટિ થતા જ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સિંજીવાડા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં જમેલા મહેમાનો અને ગ્રામજનો પૈકી ૨૦૦થી વધુ લોકોની તબિયત બગડતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખાદ્ય પદાર્થોે અને પાણીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ગામના પરા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ગટરની નજીકથી અને ગટરની અંદરથી પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ લાઈન બદલવામાં ન આવતા આખરે લીકેજના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થયું છે. સરપંચ મનોજસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, ગટર પાસેથી પસાર થતી આ લાઈન બાબતે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું. લેબ રિપોર્ટમાં ઈ-કોલાઈ મળી આવતા હવે સ્પષ્ટ થયું છે કે, આ માનવ સજત ભૂલને કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. હાલમાં અસરગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામજનો હવે આ ખામીયુક્ત અને દૂષિત પાણીની લાઈન તાત્કાલિક ધોરણે બદલવા માટે મક્કમ માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી હોનારત ટાળી શકાય.










