![]()
કાલાવડ રોડ પર ગત નવેમ્બર માસમાં યુવકનો ભોગ લીધો હતો
આરોપીની જે તે વખતે ધરપકડ થઇ હતી, ચાર્જશીટ બાદ પોલીસે સાપરાધ મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમનો ઉમેરો કર્યો હતો
રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે ગઇ તા.૧૦ નવેમ્બરના રોજ રાત્રે પૂરપાટવેગે બીએમડબલ્યુ કાર ચલાવી ટુવ્હીલર પર જતા અભિષેક નામના ૨૦ વર્ષના યુવાનને હડફેટે લઇ તેનું મોત નિપજાવવાના કેસમાં નબીરા આત્મન અક્ષયભાઇ પટેલે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
આ ઘટનાને પગલે જે તે વખતે આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં આરોપીને જામીન પર પણ છોડી દીધો હતો. આ કેસના ફરિયાદી કેવલ નાથાણી દ્વારા પોલીસ કમિશ્નર સમક્ષ સાપરાધ મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમનો ઉમેરો કરવા રજુઆત કરાઇ હતી.
આ કેસમાં પોલીસે ગઇ તા.૫ ફેબુ્રઆરીના રોજ ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. ત્યાર પછી એફએસએલનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં આરોપીના બ્લડ સેમ્પલમાંથી આલ્કોહોલની હાજરી મળ્યાનું જણાવાયું હતું. તેના આધારે પોલીસે સાપરાધ મનુષ્યવધ એટલે કે બીએનએસની કલમ ૧૦૫ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમ ૧૮૫નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે આરોપી આત્મન પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પુરાવા તપાસી અદાલતે તેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી પ્રશાંતભાઇ પટેલ અને ફરિયાદી વતી એડવોકેટ ધવલભાઇ મહેતા રોકાયેલા હતા.
આગોતરા જામીન અરજીની સુનવણીમાં ફરિયાદ પક્ષ દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે મૃતકનું સ્કૂટર ૨૩૦ ફૂટ દૂર ફંગોળાયું હતું. જ્યારે તેનો મોબાઇલ રોડ પર આવેલી સ્કૂલના કમ્પાઉન્ડમાંથી મળ્યો હતો. જેના પરથી કારની સ્પીડ કેટલી હશે અંદાજ આવી શકે તેમ છે.










