![]()
Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવી છે. કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગૌરક્ષકોની સતર્કતાથી સફળ ઓપરેશન
મળતી માહિતી અનુસાર, લાઠીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે એક ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ ચાવંડ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 8 ભેંસ અને 1 પાડો મળી કુલ 9 પશુઓ મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ તુરંત જ લાઠી પોલીસને જાણ કરી પશુઓ અને એક શખસને પોલીસને હવાલે કર્યો હતો. લાઠી પોલીસે આ મામલે કડક વલણ અપનાવી પશુઓ અને ટ્રક સહિત કુલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા/પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપી અકીલ કુરેશી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ
છેલ્લાં બે વર્ષમાં 54 હજાર કિલો ગૌમાંસ પકડાયુ
ઉલ્લેખનીય છેકે, ગૌવંશને લઇને વિધાનસભા ગૃહમાં વિપક્ષે સરકાર પર તડાપીડ બોલાવી હતી. એવો આક્ષેપ કરાયોકે, રાજ્યમાં ગૌવંશનો કાયદો અમલમાં છે ત્યારે કમળના સ્ટીકર-કેસરી ખેસ પહેરી ગૌવંશની હેરાફેરી થઇ રહી છે. ભાજપના શાસનમાં છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 54 હજાર કિલો ગૌમાંસ પકડાયુ છે. સવાલ એ ઊભો થાય છેકે, જો આટલી વિશાળ માત્રામાં ગૌમાંસ પકડાયુ હોય તો પાછલા બારણે કેટલું ગૌમાંસની હેરાફેરી થતી હશે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કસાઇઓ બેખોફ બન્યાં છે.
વિધાનસભામાં ગૌવંશ હત્યાનો મુદ્દે સવાલ પૂછાતાં ખુદ સરકારે એ વાત સ્વિકારી કે, 29 જિલ્લામાંથી ગૌમાંસ અને ગૌવંશ પકડાયુ છે. આ પરથી ગૌવંશ-ગૌમાંસની બેરોકટોક હેરાફેરીનો અંદાજ આવી શકે તેમ છે. દર વર્ષે અંદાજે 20 હજાર કિલો ગૌમાંસ પકડાઇ રહ્યુ છે. સરકારની ઢીલી નીતિને કારણે જ ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ગૌમાંસ પકડાયુ છે. બે વર્ષમાં 3876 કિલો ગૌમાંસ સુરત શહેરમાંથી પકડાયુ છે. ગૃહ વિભાગે દાવો કર્યોકે, ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં 1810 આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે જે પૈકી 184ને પાસા જ્યારે 50ને તડીપાર કરાયાં છે. 21ને જેલની સજા કરાઇ છે. 11 આરોપીને 10 વર્ષ અને 3ને સાત વર્ષની જેલની સજા કરાઇ છે. ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં 339 વાહનોની હરાજી કરી વેચાણ કરી દેવાયાં છે.










