![]()
વડોદરાઃ નિઝામપુરા બસ ડેપોમાં આજે પરોઢિયે એક યુવક પર જૂની અદાવતને કારણે ખૂની હુમલો થતાં પોલીસે ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.
નવાયાર્ડ લાલપુરા સામે રામેશ્વરની ચાલીમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાહુલ પાટિલે પોલીસને કહ્યું હતું કે,મારા મિત્ર કાલુ નેપાળી અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થતાં હું કાલુને લઇ પરોઢિયે નિઝામપુરા બસ ડેપો પર ચા પીવા આવ્યો હતો.
જ્યાં અગાઉથી જ તન્મય ઉર્ફે સની રવિકાન્ત જાધવ,જેડી ઉર્ફે ચિરાગ સોલંકી અને વિરાજસિંહ પરમાર હાજર હતા.મારે અગાઉ ઝઘડો થયો હોવાથી તન્મયે મને જોઇ કહ્યું હતું કે,હું એક વર્ષથી રિવોલ્વર લઇને તારું કામ તમામ કરવા ફરું છું.આજે તું ઘાટમાં આવ્યો છે.
ત્યારબાદ તેના બે મિત્રોએ મને પકડયો હતો.તન્મયે મને એસટીના બોર્ડ વડે માર માર્યો હતો અને ત્યારબાદ ચપ્પુ વડે છાતીમાં ઘા ઝીકી દેતાં મને ગંભીર ઇજા થઇ હતી.ફતેગંજ પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.










