![]()
એક સપ્તાહ પહેલાં લાપત્તા બન્યાની ઘટનામાં ઘટસ્ફોટ : જમીન લે-વેચના ધંધાર્થીએ પૈસાની તકરારમાં 6 સંબંધીઓ સાથે મળીને ખૂની ખેલ ખેલ્યો : પોલીસે ખાડામાંથી લાશ બહાર કાઢી
મોરબી, : મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે અને ગઈકાલે જ કાયદો વ્યવસ્થા અંગે આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યાં આજે એક સપ્તાહથી લાપત્તા બનેલા એસ્ટેટ બ્રોકર આધેડની હત્યા કરી નાખવામાં આવ્યાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. પૈસાની લેતી-દેતી મુદે તેમની હત્યા બાદ લાશને એક અવાવરૂં કારખાનામાં સળગાવીને દાટી દેવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે સાત શખ્સોને પકડી પાડીને જમીનમાંથી મૃતદેહ બહાર કઢાવી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
મોરબીના વિસીપરામાં રહેતા મૃતકના પુત્ર રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલા થોભણ અઘારા, જીતેશ બાલા જાલરીયા, રમેશ અરજણ અઘારા, વિશાલ રમેશ વાઘડીયા, ભાવેશ થોભણ અઘારા, જયદીપ કાના સેરશીયા અને થોભણ ઘેલા અઘારા (રહે. મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, મૃતક પિતા તાજમહમદ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ.૪૭) છેલ્લા ૧૫ વર્ષથી જમીન-મકાન લે-વેચમાં દલાલીનું કામ કરતા હતા અને આરોપી થોભણ અઘારા (રહે.ભડિયાદ) પણ જમીનનો ધંધો કરતો હોવાથી એકબીજાને ઓળખતા હતા. ગત તા. 19ના રોજ પિતા તાજમહમદ કોઈ જમીન જોવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા નહીં અને ફોન પણ બંધ આવતા તેમના મિત્ર હકાભાઇ પટેલને ફોન કરતા પિતા તાજમહમદ અને બાલાભાઈ ફોર્ચ્યુંનર ગાડીમાં ભડિયાદ ગામ તરફ જમીન જોવા ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે, બાદમાં પણ પિતા ઘરે આવ્યા નહીં એટલે તેઓ જેમની સાથે ગયા હતા એ બાલુભાઈ પટેલ અને તેના પિતા થોભણભાઈના મોબાઈલ નંબર મેળવ્યા હતા, પણ બંનેને વારંવાર કોલ કરવા છતાં સવાર સુધી ફોન ઉપડયા નહીં. બીજા દિવસે પિતાની શોધખોળ કરવા છતાં મળી આવ્યા નહીં અને મોબાઈલ બંધ જ આવતો હતો. જેથી આખો દિવસ શોધખોળ કર્યા બાદ તા. 21 ફેબુ્રઆરીના રોજ ગુમ થયાની પોલીસ મથકમાં જાણ કરી હતી. જેની તપાસ દરમિયાન ગઈકાલે તા. 25મીના રોજ શકદાર બાલુભાઈની પોલીસે પૂછપરછ કરતા હત્યાની સનસનીખેજ કબુલાત આપી હતી.
પોલીસની પુછપરછમાં બાલા થોભણ અઘારાએ કબુલ્યું કે, અગાઉ જમીન લે-વેચના રૂપિયા લઇને તાજમહંમદ ભટ્ટીએ દસ્તાવેજ નહીં કરાવી આપતા મનદુઃખ થયું હતું. બાદમાં તાજેતરમાં જમીન અપાવવાના બહાને પિતા પાસેથી રૂા.૫ લાખ લઇ લીધા હતા. જેથી તા. 19ના રોજ જમીન બતાવવાના બહાને બોલાવી ભડિયાદ તરફ લઇ ગયા હતા. રસ્તામાંથી જીતેશ જાલરીયા અને રમેશ જાલરીયાને બેસાડી ભડિયાદ પાસે ફાર્મ હાઉસ ગયા હતા. જ્યાં અગાઉથી વિશાલ વાઘડીયા અને બાલાનો ભાઈ ભાવેશ હાજર હતા. રૂપિયાની રકઝક કરી પિતા થોભણભાઈ અને તેમના જમાઈ જયદીપ સેરશીયાને બોલાવી પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી તથા તેમજ ઢીકાપાટુંનો માર મારીને તાજમહંમદભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં લાશ કારમાં નાખી પીપળી રોડ પર આવેલા બંધ અવાવારૂં કારખાનમાં લઇ જઈને ખાડો ખોદી અંદર નાખી દીધી હતી અને લાકડા-ડીઝલ વડે સળગાવી દઈને દાટી દીધી હતી. બાદમાં તેની ઉપર સિમેન્ટ ક્રોન્કિટનું ધાબુ કરી નાખ્યું હતું.










