Supreme Court on Loan Guarantor: સામાન્ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવા માટે લોનમાં ગેરંટર બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે, ‘ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ'(IBC) હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, તો બેન્ક મુખ્ય લેણદાર(ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બંને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા(CIRP) શરૂ કરી શકે છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, તેટલી જ જવાબદારી ગેરંટરની પણ છે.
હવે ગેરંટરો સામે એકસાથે શરૂ થઈ શકશે કાર્યવાહી
અગાઉના નિયમ મુજબ, જો એક જ લોન માટે બે ગેરંટર હોય, તો બેન્ક એક સમયે માત્ર એક જ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી. આ કારણે બેન્કોને નાણાં વસૂલવામાં વર્ષો વીતી જતા હતા. જોકે, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જૂના ચુકાદાઓને રદ કરતા જણાવ્યું છે કે, હવે બેન્કો પોતાની બાકી રકમ વસૂલવા માટે લેણદાર અને તમામ ગેરંટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરી શકે છે. આ નિર્ણયથી બેન્કો અને નાણાકીય સંસ્થાઓને મોટી રાહત મળી છે, જ્યારે લોન ગેરંટરની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: વાહન ચાલકો માટે મોટા સમાચાર, પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
FD અને બેન્ક બેલેન્સ પણ થઈ શકે છે જપ્ત
આ ચુકાદા બાદ હવે ગેરંટર એવું વિચારીને નિશ્ચિંત નહીં રહી શકે કે કંપનીની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સુધી તેમને કોઈ ખતરો નથી. જો કંપની વેચાયા પછી પણ બેન્કનું દેવું પૂરેપૂરું ભરપાઈ ન થાય, તો બેન્ક બાકીના પૈસા વસૂલવા માટે ગેરંટર અથવા પ્રમોટરોની અંગત મિલકતો જેવી કે ફિક્સ ડિપોઝિટ, બેન્ક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. આમ, હવે કોઈની લોનમાં ગેરંટર બનતા પહેલા તેની આર્થિક ગંભીરતા સમજવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.











