![]()
રિલાયન્સ સર્કલથી શાહપુર તરફ જતા માર્ગ ઉપર
સરખેજથી પ્રાંતિજ સામાન લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ કારચાલક સામે ગુનો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના રિલાયન્સ સર્કલથી શાહપુર તરફ જવાના માર્ગ
ઉપર ગઈકાલે રાત્રે ટ્રકને પાછળથી કારે અકસ્માત સર્જતાં ટ્રકમાં સવાર ક્લીનર બહાર
ફેંકાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જે ઘટના
અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં રીલાયન્સ ચોકડીથી શાહપુર સર્કલ
તરફ જતા માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક આઈસર ટ્રકના
ક્લીનરનું મોત નિપજ્યું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિજના
શ્રીજી ટ્રાન્સપોર્ટની આઈસર ગાડીના ડ્રાઈવર મોહસીનઅલી શબ્બીરઅલી બાપુ અને ક્લીનર
માહીન મોસીનભાઈ મલેક રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ સરખેજથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા
હતા. તે દરમિયાન એક કારે પૂરઝડપે આઈસરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની ઘટના
એવી રીતે બની કે કાર આઈસરની આગળ આવી ગઈ અને સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાઈ હતી.
ત્યારબાદ આઈસરના ડ્રાઈવર સાઈડના દરવાજે અથડાતા ટ્રક રોડની ડાબી તરફ ઉતરી ગયો હતો.
આ અકસ્માતમાં આઈસરનો આગળનો કાચ તૂટી જતાં ક્લીનર માહીન મલેક રહે. મંગાજીનો મહોલ્લો, ઓરણગામ, પ્રાંતિજ બહાર
ફેંકાઈ ગયા હતા. તેઓ આઈસરના જમણા ટાયર અને ધરા નીચે દબાઈ ગયા અને ગંભીર ઈજાઓને
કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. કારના ચાલકને પણ ઈજાઓ થઈ હતી.
ઈન્ફોસિટી પોલીસે આ અંગે કારનાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.










