![]()
Jamnagar Crime : જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુળુભા મનુભાઈ જાડેજા નામના 55 વર્ષના ખેડૂત કે જે સરમત ગામના મહિલા સરપંચ વંદનાબાના જેઠ થાય છે, જેઓ ઉપર તેમજ તેમના નાનાભાઈ હનુભા અને તેમના પુત્ર પૃથ્વીરાજસિંહ વગેરે ઉપર સામાન્ય બોલાચાલી બાદ તલવાર અને લોખંડના સળિયા વડે હુમલો કરાયો હતો, જે હુમલામાં ત્રણેયને ઈજા થઈ હતી. જે પૈકી મૂળુભાને હાથમાં તલવાર વાગી હતી, જ્યારે લોખંડના સળિયા વડે હુમલો થવાથી હાથમાં ફેક્ચર થઈ ગયું હતું, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં મુળુભા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું, કે પોતાના ઘર પાસે પૂર્વ સરપંચના પરિવારના સભ્યો એવા રાજદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, તથા દશરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા વગેરે અપશબ્દો બોલી રહ્યા હતા, જેને અટકાવવા જતાં તેઓ ઉસકેરાયા હતા, અને ભીષ્મરાજસિંહ હકુભા જાડેજા ઉપરાંત કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા વગેરેને પણ ફોન કરીને બોલાવી લીધા હતા, અને તમામે તલવાર અને લોખંડના સળિયા વડે હુમલો કરી દીધાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સિક્કા પોલીસે હુમલા અંગે ગુનો નોંધ્યો છે, અને સમગ્ર મામલામાં એએસઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










