![]()
– પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ
– જમીનના મૂળ માલિકોમાના એકનું અવસાન 18 એપ્રિલ 1996 ના રોજ થયું હોવા છતાં આરોપીઓએ 2007 માં ખોટી ઓળખ આપનાર વ્યક્તિ ઉભી કરી
નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના બલોલ ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, જે વ્યક્તિનું વર્ષો પહેલા મૃત્યુ થઈ ચૂક્યું છે, તે મૃતકને જીવતા બતાવી તેમની ખોટી ઓળખ આપી બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા જમીન તકેદારી સમિતિ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ અંતે મહુધા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની વિગત મુજબ, બલોલ ગામના વતની અમરતભાઈની વડીલોપાર્જિત જમીન બ્લોક નંબર ૪૦૧ જેનો જૂનો સર્વે નંબર ૨૮૩ છે, તે જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ મનસૂબો ઘડયો હતો. આ જમીનના મૂળ માલિકોમાંના એક રામાભાઈ ભગાભાઈનું અવસાન ૧૮ એપ્રિલ ૧૯૯૬ના રોજ થયું હતું. આમ છતાં, આ મિલકત હડપવા માટે આરોપીઓએ વર્ષ ૨૦૦૭માં રામાભાઈના નામે ખોટી ઓળખ આપનાર વ્યક્તિ ઉભી કરી બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી લીધી હતી. આ ગુનાહિત કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે ડુમરાલના કલ્પેશકુમાર કાન્તિભાઇ પટેલનું નામ ખુલ્યું છે. તેમણે પોતાના મળતિયાઓ સંજયકુમાર મિસ્ત્રી અને કમલેશકુમાર વાઘેલા સાથે મળીને આ બોગસ દસ્તાવેજ તૈયાર કર્યોે હતો. આ પાવર ઓફ એટર્નીના આધારે ૩૦ મે ૨૦૦૮ના રોજ નડિયાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન વેચાણનો દસ્તાવેજ પણ કરાવી દેવામાં આવ્યો હતો. આ જમીન કપડવંજના અલ્પેશભાઈ પટેલને વેચી દેવામાં આવી હતી.
જ્યારે આ સમગ્ર છેતરપિંડીની જાણ મૂળ વારસદારોને થઈ ત્યારે તેમણે ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા જમીન તકેદારી સમિતિમાં અરજી કરી હતી. તપાસ દરમિયાન પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા કે, રામાભાઈનું મૃત્યુ દસ્તાવેજ થયાના ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું. આ પુરાવાઓના આધારે કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને છેવટે ગુનો નોંધવા માટે સબ રજિસ્ટ્રારને અધિકૃત કરવામાં આવ્યા હતા.
નડિયાદના સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરીએ આ મામલે સરકાર તરફે ફરિયાદી બની મહુધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કલ્પેશકુમાર પટેલ, સંજયકુમાર મિસ્ત્રી અને કમલેશકુમાર વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જમીન કૌભાંડમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. વર્ષો જૂના આ કૌભાંડમાં જે રીતે સરકારી દસ્તાવેજોનો દૂરુપયોગ થયો છે, તે જોતા આગામી દિવસોમાં આરોપીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. હાલ પોલીસે તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય
આ કેસના મુખ્ય આરોપી તરીકે જેનું નામ છે તે, કલ્પેશભાઈ કાંતિભાઈ પટેલ અગાઉ ખેડા જિલ્લા પંચાયતના પીજ બેઠક પરથી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે અને ૨૭ પાટીદાર સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
રાજકીય વગથી કૌભાંડ આચર્યું
મૃતકના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડવાના આ કૌભાંડમાં કલ્પેશભાઈ અને અન્ય લોકોએ પોતાની રાજકીય વગનો ઉપયોગ કર્યોે હોવાની લોકચર્ચા જાગી છે. જાણવા મળ્યા મુજબ, આ બાબતે થોડા દિવસો અગાઉ પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ રાજકીય દબાણને કારણે તપાસ દબાવી રાખવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. જોકે, અંતે કલેક્ટરના કડક વલણ બાદ ફરિયાદ નોંધાતા કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે અને ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ જાગી છે.










