પરિવારનો ચાર શખ્સો સામે જૂની અદાવતમાં હત્યાનો આરોપ, પોલીસે તપાસ હાથ ધરી..
પાટણ, અનિલ, એબીએનએસ: હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ગંજ બજારમાં નોકરી કરતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ ગંભીર રીતે માર માર્યો હોવાનો પરિવારજનોનો આરોપ છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારે જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ દાંતરવાડા ગામના રહેવાસી અરૂણ રમેશજી ઠાકોર (ઉ.વ. 26), જેને અરવિંદજી ઉર્ફે અરૂણ તરીકે પણ ઓળખવામાં આવે છે, હારીજના ગંજ બજારમાં આવેલી એક પેઢીમાં નોકરી કરતા હતા. રોજની જેમ અરૂણ નોકરી પર હાજર હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો ગાડીમાં આવી પહોંચ્યા હતા અને તેમનું અપહરણ કરી તેમને પોતાની સાથે લઈ ગયા હતા.
પરિવારજનો તથા ગામના મહિલા સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરના જણાવ્યા મુજબ અપહરણકર્તાઓ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા યુવક બેહોશ થઈ ગયો હતો. બાદમાં આરોપીઓ તેને બેહોશ હાલતમાં છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા અરૂણને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
યુવકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આ ઘટના પાછળ જૂની અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં આ ઘટનાને લઈને ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.










