![]()
વડોદરાઃ જેતલપુર રોડ પર માતા અને ઓરમાન પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર લોહીવાળી કુહાડી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મારી મમ્મીનું મર્ડર કરીને આવ્યો છું તેમ કહી કુહાડી સોંપી હતી.
કાશીવિશ્વેશ્વર સોસાયટીમાં રહેતા જીઇબીના નિવૃત્ત એન્જિનિયર દિલીપભાઇ શાહે તેમના પત્ની ગુજરી જતાં વર્ષ-૨૦૧૦માં પુષ્પા જયંતિભાઇ પટેલ સાથે લગ્ન કર્યા હતા.પુષ્પાબેન પણ વિધવા હતા અને તેના પુત્ર રૃચિતને લઇ દિલીપભાઇને ત્યાં રહેવા આવ્યા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી રૃચિત અટલાદરાના ફ્લેટમાં મકાન રાખી એકલો રહેતો હતો.
ગઇકાલે બપોરે રૃચિત તેની માતાને ઘેર આવ્યો હતો અને થેલામાંથી કુહાડી કાઢી માથા,ગળા,કાન તેમજ શરીરના અન્ય ભાગે ઘા ઝીકતા પુષ્પાબેન બેભાન થઇને ઢળી પડયા હતા.આ વખતે દિલીપભાઇ દોડી આવતાં તેમના માથામાં પણ રૃચિતે કુહાડીનો ઘા ઝીંક્યો હતો.જેથી બંને પતિ-પત્નીને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જ્યાં પુષ્પાબેનની હાલત ગંભીર છે.
ઉપરોક્ત બનાવ બાદ રૃચિત બૂલેટ પર લોહીવાળી કુહાડી સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને ત્યાં કુહાડી રજૂ કરી મારી મમ્મીનું મર્ડર કરીને આવ્યો છું તેમ કહેતાં પોલીસ ચોંકી હતી.પોલીસે તેની અટકાયત કરી હતી અને તપાસ કર્યા બાદ અકોટા પોલીસની હદમાં બનાવ બન્યો હોવાથી રૃચિતને ત્યાં સોંપી દીધો હતો.આમ, પુત્રને તેની માતા જીવે છે તેની જાણ જ નહતી.જેથી પીઆઇ ડીવી બલદાનિયાએ રિમાન્ડની તજવીજ કરી છે.
રૃચિત કેનેડાથી રિટર્ન થયો હતો,માતા સાથે પૈસા બાબતે વાંધો હતો
ગાર્ડનિંગ માટે ખરીદેલી કુહાડી થેલામાં લઇ બૂલેટ લઇ નીકળ્યો હતો
માતાની હત્યાનો પ્રયાસ કરનારા રૃચિત કેનેડાથી પરત ફર્યો હોવાની પોલીસને માહિતી મળી છે.
પોલીસના કહ્યા પ્રમાણે,રૃચિત ત્રણેક વર્ષ સુધી કેનેડા રહ્યો હતો.પરંતુ ત્યાં સેટ નહિ થતાં પરત ફર્યો હતો અને અટલાદરાની યોગી રેસિડેન્સી ખાતે ફ્લેટમાં રહેતો હતો.
રૃચિતને તેની માતા સાથે પિતાના પૈસા બાબતે વાંધો હોવાથી તેની હત્યાનો પ્લાન કર્યો હતો.આ માટે તેણે એક વર્ષ પહેલાં ગાર્ડનિંગ માટે ખરીદેલી કુહાડી થેલામાં મૂકી બૂલેટ પર માતાને ત્યાં પહોંચ્યો હતો અને કમ્પાઉન્ડમાં જ માતાને લોહીલુહાણ કરી હતી.










