![]()
Ahmedabad Plane Crash Update : જૂન 2025માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના, જેમાં 260 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકાના એવિએશન સેફ્ટી ફાઉન્ડેશને આરોપ લગાવ્યો છે કે, તપાસ અધિકારીઓને દુર્ઘટના સાથે જોડાયેલા કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજો સોંપવામાં આવ્યા નહોતા.
શું વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં પહેલેથી ખામી હતી?
એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈડી પિયરસને તપાસકર્તાઓને મોકલેલા ઈમેલમાં દાવો કર્યો છે કે, તેમના હાથમાં કેટલાક એવા ગુપ્ત દસ્તાવેજો આવ્યા છે જે દુર્ઘટનાનું અસલી કારણ ‘ઈલેક્ટ્રિક ફેલ્યોર’ હોવાનું દર્શાવે છે. પિયરસનના દાવા અનુસાર બોઈંગ 787 ડ્રીમલાઈનર (VT-ANB) વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં દુર્ઘટનાના લાંબા સમય પહેલાથી જ ખામીઓ હતી. વિમાનમાં વારંવાર શોર્ટ સર્કિટ, ધુમાડો નીકળવો અને વાયરિંગની સમસ્યાઓ નોંધાઈ હતી. આ વિમાનને ઈલેક્ટ્રિક ફોલ્ટના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને તેનું ‘P100 પાવર પેનલ’ પણ બદલવામાં આવ્યું હતું.
શું પાયલટને બલિનો બકરો બનાવાયા?
પિયરસને ગંભીર આરોપ લગાવ્યો છે કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઘટનાના નવ મહિના પહેલા કોઈ ભલામણ કરી નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસકર્તાઓએ એવું નેરેટિવ સેટ કર્યું જેનાથી બધી જવાબદારી પાયલટ પર આવી જાય, જ્યારે હકીકતમાં વિમાનને ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી. જો આ દાવા સાચા સાબિત થાય, તો 260 લોકોના મોત માટે જવાબદાર કોણ? તે સવાલ ફરી એકવાર ગુંજતો થયો છે.









