![]()
– ડાયવર્ઝનના અભાવે લોકોને 3 કિમીનો વધારાનો ફેરો
– ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો વઢવાણ-જીઆઇડીસી વચ્ચેનો સંપર્ક કપાઈ જવાની ભીતિ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામો સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. વઢવાણ અને જીઆઇડીસી વિસ્તારને જોડતા ભોગાવો નદી પરના બેઠેલા પુલને ઊંચો બનાવવા માટે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તેનું નવીનીકરણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સૌથી ગંભીર બાબત એ છે કે મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. જેના કારણે જીઆઇડીસીમાં કામ કરતા હજારો શ્રમિકોએ લાંબો ફેરો કરીને કારખાને પહોંચવું પડે છે. વધુમાં, નજીકમાં જ સરકારી હોસ્પિટલ આવેલી હોવા છતાં પુલ બંધ હોવાથી એમ્બ્યુલન્સને ૩ કિમીનો ચકરાવો લેવો પડે છે. કટોકટીના સમયે દર્દીઓને નદીના સામા કાંઠે ચાલીને આવવું પડે છે અને ત્યાંથી અન્ય વાહન ભાડે કરવાની નોબત આવે છે.
ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓથી લઈને ઉદ્યોગકારો સુધી તમામ લોકો આ ગોકળગતિની કામગીરીથી ત્રસ્ત છે. સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ છે કે ચોમાસું બેસે તે પહેલાં આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, અન્યથા વરસાદી સીઝનમાં સંપર્ક તૂટી જવાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.










