જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં પણ શહેર ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અંતર્ગત સતત દસ વર્ષ થી જામનગરમાં ચકલીનામાળા તથા પાણી ના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે અભિયાન આ વખતે સતત ૧૧ માં વર્ષે પણ અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે.
ડીમ્પલબેન રાવલે જણાવ્યું છે કે પ્રથમ વખત જ્યારે કોર્પોરેટર તરીકે ચૂંટાયા ત્યારે પોતાને મળતા માસિક ભથ્થા ની રકમ નો સત્કાર્યમાં ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના પતિ જગતભાઈ રાવલ પક્ષીપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોવાના કારણે બન્નેએ શહેરમાં ચકલીઓની ઘટી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને શહેરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ ને બચાવવા માટેનું ‘ચકલી બચાવો અભિયાન’ શરૂ કર્યું હતું. જે અંતર્ગત દર વર્ષે ર૦ મી માર્ચે વિશ્વ ચકલી દિવસે પક્ષીપ્રેમીઓને ચકલીના માળા તથા પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું હતું.
આ અભિયાનમાં જામનગરની વિવિધ સંસ્થાઓ જેમ કે લાખોટા નેચર ક્લબ, ફોટોગ્રાફર એસોસિએશન, નવાનગર નેચર ક્લબ, ભારત તિબત્ત સંઘ, નગરની વિવિધ જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, સભ્યોનો સહકાર દર વર્ષે મળી રહયો છે.
આ અભિયાનના પરિણામ સ્વરૂપે જામનગરના લોકોમાં ઘરમાં, ધંધાના સ્થળે, હોટલ-ધાબામાં, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલોમાં માળા રાખવાની જાગૃતિ આવી છે, અને તેના કારણે અનેક વિસ્તારોમાં ચકલીઓની ‘ચીંચી’ સાંભળવા મળી રહી છે. આ અભિયાનની સાથે શહેરની અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પણ માળા, કુંડાનું વિતરણ થઈ રહ્યું છે.
ડિમ્પલબેન જગતભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે ચકલી સાવ નિર્દોષ, બીનઉપદ્રવી, સંપૂર્ણ શાકાહારી પક્ષી છે, જેને આપણે ‘હાઉસ સ્પેરો ‘નું બિરૂદ આપ્યું છે. તેથી ચકલીઓનો કલબલાટ, ચીંચી હવે અનેક ઘરોમાં સાંભળવા મળી રહ્યો છે. ચકલીને અનુકૂળ આવે તે પ્રકારના પૂંઠાના અને માટીના માળા તેમજ માટીના પાણીના મોટા કુંડાનું વિતરણ કર્યા પછી તેનું ફોલોઅપ પણ લેવામાં આવે છે, અને તેમાં દસ વર્ષના પ્રયાસોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે.
જામનગર શહેરમાં આગામી તા. ર૦-૩-ર૦ર૬ ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી હવાઈચોક, બપોરે ૧ર થી ૧ સુધી લાલબંગલા સર્કલ, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ સુધી પંચેશ્વર ટાવર પાસે તથા સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી ડીકેવી સર્કલમાં સ્ટોલ ઊભા કરી માળા-કુંડાનું વિતરણ કરાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા નગરના પક્ષી પ્રેમીઓને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા અનુરોધ કરાયો છે.
ચકલીઓના માળા ના વિતરણ સાથે પક્ષી પ્રેમીઓના કોન્ટેક નંબર મેળવી માળાઓની માવજત અંગે ફોલોઅપ પણ લેવાય છે
જામનગર શહેરમાં ચકલીઓના માળાનું વિતરણ કરાયા બાદ પક્ષી પ્રેમીઓના કોન્ટેક નંબર મેળવી લઈ તેઓનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવે છે, તેમજ ચકલીના માળાની કેવી રીતે માવજત રાખવી, અને તે સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
જેને લઈને શહેરમાંથી ધીમે ધીમે ચકલીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો જોવા મળી રહ્યો છે, અને આ અભિયાનને પ્રતિવર્ષ વેગ મળી રહ્યો છે. જેની અસર વિશેષ પ્રકારે જોવા મળી રહી છે.
કાળજાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડાનો સૌથી વધુ ઉપયોગ કરવા અપીલ
જામનગર શહેરમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળાઓની સાથે સાથે પાણીના માટીના કુંડા નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાળજાળ ગરમીના સમયમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે, તે માટે જીવદયા પ્રેમીઓએ આ પાણીના કુંડા મેળવી લઈ પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં મૂકીને પક્ષીઓની તરસ છુપાવવા માટે પાણીના કુંડા પોતાના ઘર વિસ્તારમાં મૂકવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.










