Ahmedabad Sarkhej Riot News : અમદાવાદના સરખેજમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે અને અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને પકડવા તપાસ કરી રહી છે, બીજી તરફ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરી છે.
DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે આશરે 9.30થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસમાં હત્યાની એક ઘટના બની છે, જેમાં ઠાકોર સમાજના જ બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ અથડામણમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોરને ઈજાઓ પહોંચી છે. હાલમાં અમારી પોલીસની વિવિધ ટીમો ફિલ્ડમાં કાર્યરત છે અને અમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

મૃતક યુવકના ભાભીએ જણાવ્યું કે, તે લોકો પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા. શરૂઆતમાં ચાર-પાંચ જણા એક્ટિવા પર આવ્યા અને એવું નાટક કર્યું કે તેઓ ફક્ત વાત કરવા આવ્યા છે. જ્યારે અમે બધા ઘરની બહાર વાત કરવા નીકળ્યા, ત્યારે તેમણે અચાનક જ ગુસ્સે થઈને ગાળાગાળી શરૂ કરી અને અમારા પર હુમલો કરી દીધો. તેઓ બીજા લોકોને પણ પાછળથી બોલાવીને લાવ્યા હતા અને અચાનક અમને મારીને ભાગી ગયા.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા છોકરાના મોત માટે અમને ન્યાય જોઈએ અને તે રાજિયો તથા હર્ષિલને ફાંસીની સજા થવી જોઈએ. આ લોકો હવે અમારા ગામમાં રહેવા જ ન જોઈએ, તેમના મકાનો તોડી પાડવા જોઈએ અથવા તો સળગાવી દેવા જોઈએ. પોલીસવાળાએ પણ અમને કોઈ સાથ આપ્યો નથી, તેઓ તો તેમની સાથે જ વાતો કરતા હતા અને તેમનું જ ધ્યાન રાખતા હતા. જો પોલીસ કંઈ નહીં કરે, તો અમારું આખું કુટુંબ ભેગું થઈને જે કરવું પડશે તે અમે જાતે કરીશું.










