![]()
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થતા જ હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી તા.૧૯ માર્ચ, ગુરુવારથી ગુજરાતના વિવિધ કેન્દ્રો પર શરુ થશે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૯ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં ધો.૧૦ના ૧૦ , વિજ્ઞાાન પ્રવાહના ચાર અને સામાન્ય પ્રવાહના પાંચ કેન્દ્રોનો સમાવેશ થાય છે.ધો. ૧૦ અને ધો.૧૨ના તમામ પ્રમુખ વિષયોની ઉત્તરવહીઓની ચકાસણી આ કેન્દ્રો પર થશે.ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, આ તમામ પરીક્ષા કેન્દ્રો પર બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની શિક્ષકો દ્વારા ચકાસણી થશે.આ માટે ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના ૮૦૦ કરતા વધારે શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે.ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં દરેક શિક્ષકે રોજની ૩૬ તથા ધો.૧૨ સાયન્સમાં દરેક શિક્ષકે રોજની ૨૮ ઉત્તરવહીઓની ચકાસણી કરવાની હોય છે.લગભગ પંદર દિવસમાં ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પૂરી થશે.
ગેરહાજર રહેતા શિક્ષકો સામે બોર્ડ આકરી કાર્યવાહી કરતું નથી
ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી સાથે વર્ષોથી સંકળાયેલા એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, જે શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવા માટે ઓર્ડર અપાય છે તેમાંના ઘણા શિક્ષકો અલગ અલગ કારણો આગળ ધરીને ઉત્તરવહીઓ તપાસવા માટે હાજર થતા નથી.ખાસ કરીને અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ગેરહાજરી વધારે હોય છે.દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે પરંતુ બોર્ડ દ્વારા આવા શિક્ષકો સામે આકરી કાર્યવાહી કરાતી નથી.આ વર્ષે તા.૪ એપ્રિલથી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ શરુ થશે ત્યારે ઉત્તરવહીઓની ચકાસણી તે પહેલા પૂરી થાય તે જરુરી છે.










