![]()
India-Iran Diplomacy : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વના દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ યુદ્ધ વચ્ચે ભારતે પોતાની સચેત કૂટનીતિથી એક મોટી સફળતા હાંસલ કરી છે. જ્યારે વિશ્વની નજર યુદ્ધના મેદાનમાં હતી, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયની કૂટનીતિથી દેશ એક મોટા આર્થિક અને ઊર્જા સંકટમાંથી બહાર આવ્યું છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવા છતાં ભારત પોતાના બે LPG ટેન્કરોને ત્યાંથી સુરક્ષિત લાવવામાં સફળ થયું છે.
ભારતે સૌથી મહત્ત્વનું કૂટનીતિક પગલું ભર્યું
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ કૂટનીતિની શરૂઆત માર્ચમાં શરૂ થઈ હતી. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાન (Israel-Iran War)ના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. એકતરફ પશ્ચિમી દેશોની નજર આ ઘટનાઓ પર હતી, તો બીજીતરફ ભારતે દેશ માટે સૌથી મહત્ત્વનું કૂટનીતિક પગલું ભર્યું હતું.
ભારતના લાખો ઘરોમાં ગેસ અટકતો બચ્યો
ખામેનેઈના મોત બાદ પાંચમી માર્ચે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસ ગયા હતા. તેમણે અહીં ખામેનેઈની તસવીર પાસે બેસીને શોક પુસ્તક પર હસ્તાક્ષર કરીને ભારત સરકાર તેમજ પ્રજા તરફથી સંવેદના વ્યક્ત કરી હતી. તે જ દિવસે વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ સાથે ફોન પર લાંબી ચર્ચા કરી હતી. આમ આ ભારત-ઈરાન વચ્ચેના એવા સંબંધોની કૂટનીતિ હતી, જેનાથી ભારતના લાખો ઘરોમાં ગેસ અટકતો બચી ગયો છે.
હોર્મુઝ બંધ થતા ભારત ચિંતિત
ખામેનેઈના મોત પ્રત્યેની સંવેદના ભારત માટે ભાવનાત્મક તો હતી જ સાથે કૂટનીતિ દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વની હતી. કારણ કે ભારતમાં કુલ ઉપયોગ થતા LPGમાંથી 90% LPG હોર્મુઝ જળમાર્ગેથી આવે છે. પરંતુ યુદ્ધ શરૂ થતા ઈરાને આ જળમાર્ગ બંધ કરી દીધો હતો અને તેમે દુશ્મન દેશોને જળમાર્ગનો ઉપયોગ ન કરવાની પણ ધમકી આપી હતી. જળમાર્ગ બંધ થતા ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ગેસની ભારે અછત ઉભી થઈ હતી. જો સમયસર ભારત તરફ કન્ટેનર ન આવ્યા હોત તો આર્થિક સંકટ પણ ઉભુ થવાની આશંકા હતી. જોકે ભારતના કૂટનીતિ નિર્ણયના કારણે ગેસ અછતની સમસ્યા ટળી ગઈ છે.
આ પણ વાંચો : 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા
ભારતની માનવતા, ઈરાની સૈનિકોની મદદ કરતા ઈરાનને રાહત
ઈરાને માત્ર ચીનના જહાજોને જ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં ભારત માટે હોર્મુઝ જળમાર્ગેથી ભારતીય જહાજોને બહાર કાઢવાના પડકારો કંઈ ઓછા ન હતા. નિષ્ણાંતોના મત મુજબ, અમેરિકન સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ પર હુમલો કર્યો હતો. આ જ સમયે અન્ય એક 183 ક્રૂ સભ્યોનું ઈરાની જહાજ ભારતના કોચ્ચિ પોર્ટ પર સુરક્ષિત ઉભું હતું. આ દરમિયાન ભારતે તાત્કાલીક માનવતાના ધોરણે ઈરાની સૈનિકોની મદદ કરી હતી. ભારતે તેમને સુરક્ષા પણ આપી હતી અને પછી તેઓને ચાર્ટર્ડ પ્લેનથી ઈરાન પણ પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી. ઈરાને ભારતના પગલાને સકારાત્મક સંકેત તરીકે જોયો અને પછી વાતચીતના બંધ દરવાજા ખોલી દીધા હતા.
PM મોદીએ પણ ટેન્કરની સરળ અવરજવર માટે અપીલ કરી
વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતના તમામ ટેન્કરો પરત લાવવાની કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાન સાથે કોઈપણ એકતરફી સમજૂતી થઈ નથી. તમામ ટેન્કરોને સુરક્ષિત માર્ગ પરથી લાવવા માટે ભારતીય અધિકારી ઈરાન સાથે જુદી-જુદી વાતચતી કરી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મી માર્ચે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયન સાથે ફોન પર વાત કરી હતી અને ટેન્કરની સરળ અવરજવર માટે અપીલ કરી હતી. તેના બે દિવસ બાદ ભારતીય LPG ટેન્કરો પરત આવવાની ખાતરી થઈ શકી.
આ પણ વાંચો : મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં










