![]()
Women Reservation 2029 : ભારતીય સંસદના ઈતિહાસમાં અને દેશના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર થવાનો છે. લોકસભા ચૂંટણી 2029 પહેલા લોકસભા બેઠકો વધારવા અને 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરાઈ છે. રિપોર્ટ મુજબ હાલ ચાલી રહેલા સંસદના સત્રમાં જ આ બે પ્રસ્તાવ રજૂ કરાશે. જો યોજના મુજબ પ્રસ્તાવ પસાર થઈ જશે તો લોકસભાની સંપૂર્ણ તસવીર બદલાઈ જશે.
અહેવાલો પ્રમાણે, આ પ્રસ્તાવમાં સૂચન કરાયું છે કે હાલ લોકસભામાં 543 બેઠકો છે, જે વધારીને 816 કરવામાં આવે. આ પૈકી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આવું થશે તો સંસદમાં મહિલાઓની ભાગીદારી વધી જશે. સરકાર મહિલા અનામત લાગુ કરીને વર્તમાન શરતોમાં ફેરફાર કરવા ઈચ્છે છે. વર્તમાન કાયદા મુજબ, નવી વસ્તી ગણતરી અને નવા સીમાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ જ અનામત લાગુ કરવાની વાત હતી. જો કે, મહિલાઓને 2029 પહેલા 33 ટકા અનામત મળી જાય, તે માટે 2011ની વસ્તી ગણતરીના આધારે પ્રસ્તાવ પ્રક્રિયા પૂરી કરવાની યોજના ચાલી રહી છે.
આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો
બે બિલ લાવવાની તૈયારી
આ તૈયારીના ભાગરૂપે સંસદમાં બે જુદા જુદા બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. સરકારે ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ અને ‘સીમાંકન’ કાયદામાં ફેરફાર કરીને બિલની યોજના બનાવી છે. આ બંને બિલ પાસ કરાવવા માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે, તેથી સરકાર વિપક્ષનું સમર્થન મેળવવામાં વ્યસ્ત છે. આ બંને બિલ માટે YRS કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, NSPSP, RJD અને AIMIM જેવા પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ મુજબ BJP અને શિવસેના યુબીટી સાથે ચર્ચા થઈ ગઈ છે, જ્યારે કોંગ્રેસ સાથે વાતચીત કરવાની બાકી છે.
અનામત સિસ્ટમ રાજ્યની વિધાનસભામાં પણ લાગુ કરવાની યોજના
પ્રસ્તાવ મુજબ 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગની મહિલાઓને તેમના નિર્ધારિત ક્વોટાની અંદર જ હિસ્સો મળશે. જોકે ઓબીસી (OBC) મહિલાઓ માટે અત્યારે અલગથી કોઈ જોગવાઈ સામેલ કરવામાં આવી નથી. આ જ મોડેલ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની યોજના છે.
મહિલા અનામત બિલ 2023માં લાગુ થયું હતું
મહિલા અનામત બિલ એટલે કે, નારી શક્તિ વંદન અધિનિય 20 સપ્ટેમ્બર-2023માં લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી આપી દીધી હતી. જોકે આ કાયદો કંઈ તારીખથી લાગુ કરવાનો છે, તેનો હજુ સુધી નક્કી કરાયું નથી. કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા આ કાયદો લાગુ કરશે અને જરૂર પડશે તો તેમાં ફેરફાર પણ કરી શકે છે.
આ પણ વાંચો : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશે










