![]()
બેફામ દોડતા વાહનો જીવલેણ બનવાનો સિલસિલો યથાવત
કાર અને બાઈક વચ્ચે ટક્કરમાં મહિલા સહિત બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા, ઓવરબ્રિજ પર બે બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ
જામનગર: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનો જીવલેણ બનવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે ગુલાબનગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. બંને અકસ્માત અંગે પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવી છે.
પ્રથમ બનાવ જામનગરમાં ગુલાબનગર ઓવર બ્રિજ પર બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા મોઇનુદ્દીન હુસેન સૈયદ બુખારી નામના ૨૦ વર્ષના બાઈકચાલક યુવાનને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે ઠોકર મારી હતી. જેમાં મોઇનુંદિન બુખારીને ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત સામે આવી રહેલા બાઈક પર બેઠેલી બે વ્યક્તિ ઘાયલ થઈ હતી અને તે બંનેને પણ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજો બનાવ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ પાસે બન્યો હતો. ત્યાંથી બાઈક પર જઈ રહેલા સોમાભાઈ વશરામભાઈ ડામોર ( ઉ.વ.૫૧)ને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર નં.જીજે -૩ એલ.આર. ૮૯૭૬ ના ચાલકે ઠોકર મારી દીધી હતી. જેમાં બાઈક સવાર સોમાભાઈ તેમજ તેમના બાઈકની પાછળ બેઠેલા તેમના કુટંબી મહિલા લીલાબેન રમેશભાઈ ડામોર (ઉ.વ.૩૮) કે જે બંનેને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓના પણ એક પછી એક સારવાર મળે તે પહેલા મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ઈકો કારના ચાલક સામે ગુનો દાખલ કરીને ભાગી છૂટયો હોવાથી શોધખોળ હાથ ધરી હતી.









