![]()
Gujarat High Court: વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્ડન્સી)ના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ‘ફેટલ એક્સિડન્ટ એક્ટ, 1855’ની કલમ 1-A હેઠળ “ભાઈઓ અને બહેનો”ને પણ “પરિવાર”ના ભાગ તરીકે ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય પ્રથમ વખત ભાઈ-બહેનોની તરફેણમાં આ વ્યાખ્યાનો વિસ્તાર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે કાયદાના સાંકડા અર્થઘટન પર ન્યાય અને સમાનતાનો વિજય થાય.
શું હતી સમગ્ર ઘટના?
આ કેસ ત્રણ દાયકા જૂની એક દુખદ ઘટના સાથે જોડાયેલો છે, જેમાં શયન પુરોહિત નામના એક અપરિણીત યુવાનનું મૃત્યુ થયું હતું. શયન તેના મિત્ર પાસેથી સ્કૂટરની ચાવી લેવા માટે અગાશી પર ગયો હતો, ત્યારે અચાનક વીજળીનો મોટો ફ્લેશ થયો હતો. અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની(AEC) અને ગુજરાત એનર્જી બોર્ડ(GEB)ની ગંભીર બેદરકારીને કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
35 વર્ષ ચાલી કાનૂની લડાઈ
પુત્રના મૃત્યુ બાદ શયનની માતાએ ફેટલ એક્સિડન્ટ એક્ટ હેઠળ વળતર માટે દાવો માંડ્યો હતો. જો કે, આ કાનૂની લડાઈ 35 વર્ષ સુધી ચાલી હતી. આ લાંબી પ્રક્રિયા દરમિયાન માતાનું અવસાન થયું, જેના કારણે શયનના ભાઈ અને બહેનોને આ કેસમાં કાયદેસરના પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.
ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં વળતર મંજૂર કર્યું હતું, પરંતુ AEC અને GEB બંનેએ હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. તેમની મુખ્ય દલીલ એવી હતી કે 1855ના કાયદા હેઠળ માત્ર માતા-પિતા, પત્ની અને બાળકોને જ “આશ્રિત”(ડિપેન્ડન્ટ) ગણવામાં આવે છે, એટલે કે ભાઈ-બહેનો આવું વળતર મેળવવા માટે કોઈ કાનૂની અધિકાર ધરાવતા નથી.
ભાઈ-બહેનો વતી એડવોકેટ સચિન વસાવડાએ “ટેલિઓલોજિકલ એપ્રોચ” (હેતુલક્ષી અભિગમ) માટે દલીલ કરી હતી, જેમાં સૂચવ્યું હતું કે કલ્યાણકારી કાયદાઓનું અર્થઘટન તેના સામાજિક હેતુને પૂર્ણ કરવા માટે થવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે “પરિવાર” શબ્દમાં મૃત વ્યક્તિના ભાઈઓનો પણ સમાવેશ થવો જોઈએ, ખાસ કરીને જ્યારે કેસ ‘સ્ટ્રિક્ટ લાયબિલિટી’ (કડક જવાબદારી)ના સિદ્ધાંત પર આધારિત હોય.
હાઈકોર્ટેનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
હાઈકોર્ટે આ દલીલો સાથે સંમતિ દર્શાવી અને GEB તથા AEC દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી હતી. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફેટલ એક્સિડન્ટ એક્ટની જોગવાઈઓનું ઉદાર રીતે અર્થઘટન થવું જોઈએ. સિટી સિવિલ કોર્ટના આદેશને બહાલ રાખીને, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મૃતકના ભાઈ-બહેનો તેમની સ્વર્ગસ્થ માતા દ્વારા માંગવામાં આવેલા વળતરના હકદાર છે.
આ પણ વાંચો: માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અરજી
આ ચુકાદો ભારતીય ટોર્ટ લો(અપરાધશાસ્ત્ર)માં એક મહત્ત્વપૂર્ણ દાખલો બેસાડે છે, જે 19મી સદીના કાયદાના શબ્દશઃ વાંચનથી દૂર જઈને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કૌટુંબિક નિર્ભરતાની વધુ માનવીય અને આધુનિક સમજ પૂરી પાડે છે.










