Pakistan On Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાની વિશ્વભરના દેશો નિંદા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાને આ નિર્દયી હુમલાખોરોને સ્વાતંત્ર્ય સેનાની ગણાવી આગમાં ઘી હોમ્યું છે. અગાઉ પાકિસ્તાને આ હુમલાની નિંદા કરી તેની જવાબદારી સ્વીકારી ન હતી. પરંતુ હવે પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં હુમલો કરનારા હુમલાખોરો સ્વાતંત્ર્ય સેનાની પણ હોઈ શકે છે. અમને ખબર નથી તે કોણ છે. અમે ભારતના આરોપોનો સતત ઇન્કાર કરતાં આવીએ છીએ.’
ભારત સરકાર નિષ્ફળ
ડારે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા તેમજ રાજકારણ કરતાં પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી રહી છે. અમે તેમની પ્રત્યેક કાર્યવાહીનો આકરો જવાબ આપી રહ્યા છીએ.
સિંધુ જળ સંધિ પર રોક યુદ્ધને નોતરું
ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પાંચ મહત્ત્વના નિર્ણયો લીધા છે. જેમાં 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર રોક મૂકી છે. ભારતની આ કાર્યવાહીને ઈશાક ડારે યુદ્ધને નોતરું આપ્યું હોવાનું જણાવ્યું છે. ડારે કહ્યું કે, પાકિસ્તાનના 24 કરોડ લોકોને પાણીની જરૂર છે. તેને તમે બંધ કરી શકો નહીં. જો પાણી રોકવામાં આવશે તો તેને યુદ્ધનો સંકેત ગણવામાં આવશે અને અમે આકરો જવાબ આપીશું.
આ પણ વાંચોઃ અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા: પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વડાપ્રધાન શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળ નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે પણ ભારતને ધમકી આપી હતી કે, જો પાકિસ્તાનને નુકસાન કર્યું તો તેના પરિણામો ભારતે પણ ભોગવવા પડશે.
ઉલ્લેખનીય છે, પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે અને 17થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. જો કે, આતંકવાદને સમર્થન આપતી પાકિસ્તાન સરકારે તેમાં કોઈ સંડોવણી ન હોવાનો ખુલાસો કર્યો છે.