![]()
BJP Gujarat Politics: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાને ઉતારવા ભાજપે મૂરતિયાઓ તો પસંદ કરી લીધા છે, પરંતુ જેઓ ટિકિટથી વંચિત રહ્યા છે તેઓ પ્રદેશના નેતાઓથી રિસાયા છે. હાલ ગુજરાતમાં ભાજપમાં જાણે અસંતોષની જ્વાળા ભભૂકી છે. જેના પગલે એક બાજુ પ્રચાર શરૂ કરાયો છે તો બીજી તરફ, નારાજ દાવેદારો-સમર્થકોના મનામણા માટે મથામણ શરૂ કરાઈ છે. ખુદ પ્રદેશ પ્રમુખને ડેમેજ કંટ્રોલ માટે મેદાને ઉતરવું પડ્યું છે.
ટિકિટ મામલે શરૂ થયેલા કકળાટ ઠારવા બંધબારણે બેઠકોનો દોર જામ્યો
ટિકિટની વહેંચણી બાદ અમદાવાદ, રાજકોટ અને સુરત જ નહીં, અન્ય શહેરો-જિલ્લા, તાલુકા કક્ષાએ ભાજપમાં કકળાટ યથાવત્ રહ્યો છે. નારાજ દાવેદાર-સમર્થકોના નારાજગીના સૂર ઉઠ્યા છે કે, ઉમેદવાર પસંદગીમાં સારો નહીં, પણ મારો એ નીતિથી ટિકિટ ફાળવણી કરાઈ છે. પક્ષ માટે પરસેવો પાડનારાની રીતસર બાદબાકી કરાઈ છે.
સમાજને પૂરતું પ્રતિનિધિત્વ પણ અપાયું નથી જેના કારણે ભાજપમાં ઘણી ઠેકાણે સામૂહિક રાજીનામા પડ્યા છે. ઘણા સ્થળોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવાર પસંદગીમાં નવા ચહેરાઓને તક અપાઈ છે જ્યારે સિનિયર જ નહીં, એકથી વધુ વખત ચૂંટણી જીતનારાને પણ સાઈડલાઈન કરાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ દોડી આવ્યા હતા જ્યાં તેમણે સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી મનામણાના પ્રયાસો કર્યા હતા. હવે ભાજપ ડેમેજકંટ્રોલમાં કેટલું સફળ રહે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ
નારાજ દાવેદારોને મનાવે કોણ?
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ વખતે પણ વિપક્ષમાં જ રહેવાનું લગભગ મન બનાવી લીધું છે. એટલું જ નહીં, ચૂંટણી પરિણામ પહેલા જ જાણે હાર સ્વીકારી લીધી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. ટિકિટની આડેધડ વહેંચણીને કારણે દાવેદારો ભડક્યા છે. તોડફોડ થાય તેવા ડરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બાઉન્સરો ગોઠવી દીધા છે.









