![]()
આજે નેતાઓ 700 બેઠક બિનહરીફ થવા મુદ્દે હરખાય છે ત્યારે : અડવાણી સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવેલા, શાસક કોંગ્રેસે ભૂલ સ્વીકારી હતી, : આજે તો ભાજપમાં સત્તા માટે ચૂંટણીથી વધુ મહત્વ પક્ષપલ્ટાનું : ત્યારે પેટાચૂંટણી આવી તેમાં લોકોએ પક્ષપલ્ટુને કારમી હાર આપી હતી, આજે પક્ષપલ્ટુઓ જીતે છે તેથી બેફામ પક્ષાંતર
રાજકોટ, : આગામી તા. 26ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેમાં પરોક્ષ પક્ષાંતર એટલી હદે થયું કે સૌરાષ્ટ્રમાં 70 સહિત ગુજરાતમાં 700થી વધુ બેઠકો પર લોકોનો મતાધિકાર છિનવાઈ ગયો અને સીધી ભાજપને બેઠકો મળી ગઈ તેને આજના નેતાઓ પોતાની સિધ્ધિ ગણાવે છે પરંતુ, લોકશાહી માટે આ શરમ છે. આ સમયે ગુજરાતના પ્રથમ નોંધનીય પક્ષપલ્ટાનો કિસ્સો ધ્યાને આવ્યો છે જેમાં 45 વર્ષ પહેલા ઈ.સ. 1981માં રાજકોટ મહાપાલિકામાં ભાજપને 26 વિરૂધ્ધ કોંગ્રેસની 25 બેઠક સાથે માત્ર એકની સરસાઈથી સત્તા આવી ત્યારે ભાજપના વોર્ડ નં. 8ના (ત્યારે ભક્તિનગર સર્કલ વિસ્તાર)ના કોર્પોરેટરે પક્ષપલ્ટો કર્યો.આ સામે ઈ.સ. 1952માં જનસંઘનો પાયો નાંખનાર સ્વ.ચીમનભાઈ શુક્લએ તત્કાલીન નેતાઓ સ્વ.મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, સ્વ.મેયર અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય વગેરે સાથે પરામર્શ કરીને સતત 21 દિવસના ઉપવાસ કર્યા હતા. આ આંદોલન એટલું વ્યાપક રીતે ફેલાયું કે અડવાણી સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવ્યા હતા અને કોંગ્રેસની સરકારે અંતે ઝૂકવું પડયું હતું.
એ વખતે ત્રિકોણબાગે તપોભુમિ નામે ઉપવાસી છાવણી ઉભી થઈ હતી. આ ઘટનાને યાદ કરતા તત્કાલીન યુવા નેતાઓ સ્વ.ચીમનભાઈના પુત્ર કશ્યપ શુક્લ અને કિરીટ પાઠકે જણાવ્યું કે કોંગ્રેસના જયંતિભાઈ કુંડલીયાએ દબાણ કરતા ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલ્ટો કર્યો અને સત્તા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં જતી રહી. બાદમાં સમાધાન ફોર્મ્યુલા મૂજબ વોર્ડના ત્રણેય કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા અને પેટાચૂંટણી યોજાઈ.તે વખતે સાંસદો,ધારાસભ્યો, સરકાર કોંગ્રેસની, રાજકોટના સ્વ.રાજવી મનોહરસિંહજી જાડેજા નાણામંત્રી હતા. પણ લોકો પક્ષપલ્ટાને સ્વીકારતા નહીં, પેટાચૂંટણીમાં પક્ષપલ્ટો કરનાર સહિત કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોનો કારમો પરાજ્ય થયો અને ભાજપની સત્તા અકબંધ રહી હતી. વર્તમાન સમયમાં આખી જિંદગી ભાજપને ભાડતા રહેલા અને પક્ષપલ્ટો કરી ભાજપની પ્રશંસા કરે તોય જીતી જાય છે અને તેના પરથી અલ્પજ્ઞાો ધડો લઈને લોકો સાથે ગદ્દારી કરીને પક્ષપલ્ટો કરતા રહ્યા છે. ઉપરોક્ત આંદોલન પછી પક્ષાંતરવિરોધી કાયદો આવ્યો હતો પરંતુ, તેમાં છટકબારી શોધીને આજે ઘોળીને પી જવાયો છે. કાયદો એવો જોઈએ કે પક્ષપલ્ટુ ચૂંટણી લડી ન શકે.
ભાજપના નેતાઓ કહે છે, એ સમય એવો હતો કે રાજકારણમાં મનોહરસિંહજી-ચીમનભાઈ શુક્લ એકબીજાના આજીવન કટ્ટર હરીફ પણ રાજકોટના આ રાજવી ચીમનકાકાના ઘરવાળાને બહેન માનતા અને ચૂંટણી પ્રચાર પૂર્વે તેમના આશીર્વાદ લેતા. આજે તો વિરોધ કરનારે કિન્નાખોરીનો સામનો કરવો પડયાની છાશવારે ફરિયાદો થાય છે. મહાપાલિકાની સામાન્ય સભામાં વજુભાઈ મેયર પદે રહ્યા પણ વિપક્ષને તેમની વાત કહેતા કદિ રોક્યા ન્હોતા. બોર્ડ સાંજે 4 વાગ્યે શરૂ થાય અને રાત્રે 11 સુધી ચાલતું અને છેલ્લા દાયકાથી તો ખુદ ભાજપના માત્ર બે-પાંચ સભ્યો અંદરખાને નિર્ણય લે અને બાકીના શાસકપક્ષના સભ્યોએ પણ માત્ર આંગળી ઉંચી કરવાની અને 5 મિનિટમાં બધ્ધુ મંજુર થતું રહ્યું છે. એક સમયે ભાજપ જેનો વિરોધ કરતું તે જ કૃત્ય હવે ભાજપના નેતા ગૌરવભેર કરી રહ્યાં છે.










