![]()
Anti-Drug Push in Vav-Tharad: વાવ-થરાદ વિસ્તારમાં વધતા જતા નશાના કારોબાર સામે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર મોરચો માંડ્યો છે. શુક્રવારે (24મી એપ્રિલ) સવારે શિવનગર ખાતે આયોજિત એક જંગી સભામાં મેવાણીએ નશીલા પદાર્થોના વેચાણ અંગે પોલીસ પ્રશાસન અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ લડાઈને ધારદાર બનાવવા માટે આગામી 29મી એપ્રિલે એસ.પી. (SP) કચેરીના ઘેરાવની પણ જાહેરાત કરવામાં આવી છે.
‘પાંચ મહિલાઓ પોલીસ પ્રશાસનને ભીંસમાં લેશે’
સભાને સંબોધતા જિજ્ઞેશ મેવાણીએ એક નવી વ્યૂહનીતિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આગામી 29મી એપ્રિલે સવારે 11:00 વાગ્યે શિવનગરના રહીશો મોટી સંખ્યામાં એસ.પી. કચેરી પહોંચશે. પરંતુ આ વખતે હું નહીં, પણ વિસ્તારની પાંચ બહાદુર મહિલાઓ પોલીસ અધિકારીઓ સામે બેસીને સીધા સવાલ પૂછશે કે તેના વિસ્તારમાં આ બદીઓ કોની રહેમનજર હેઠળ ચાલી રહી છે.’
આ પણ વાંચો: હજારો મતદારોના નામ કપાયા ત્યાં સુરતમાં મોટો છબરડો, એક મતદારનું યાદીમાં 5 વખત નામ!
પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો
નશાના દૂષણ મામલે આક્રમક બનેલા મેવાણીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘આ વિસ્તારમાં દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. શું પોલીસ પ્રશાસન શિવનગર અને થરાદના યુવાધનને બરબાદ થતું જોવા માંગે છે? તંત્ર કેમ આ ગંભીર બદીઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે?’
યુવાધનને બચાવવા માટે જનઆંદોલનની હાકલ
મેવાણીએ ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે ‘ડ્રગ્સ અને દારૂનું દૂષણ શિવનગરના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે.’ સભાના અંતે તેમણે સ્થાનિકોને 29મી તારીખના કાર્યક્રમ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવા હાકલ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા નશાના કારોબારીઓ અને નિષ્ક્રિય તંત્રને કડક સંદેશ આપવાનો ઉદ્દેશ્ય છે.










