![]()
Raghav Chadha Resigns from AAP: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે.
ભાજપમાં જોડાશે 7 સાંસદો, હસ્તાક્ષર કર્યા : રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધવાની સાથે ટ્વિટ કરીને પણ માહિતી આપી છે કે, ‘ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને, રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે તૃતીયાંશથી વધુ સાંસદો આજે ભાજપમાં ભળી ગયા છે. સાત સાંસદોએ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવ્યો છે. મેં અન્ય બે સાંસદો સાથે મળીને વ્યક્તિગત રીતે આ હસ્તાક્ષર કરેલા દસ્તાવેજો સોંપ્યા છે.’
Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.
Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.
I, along with two other MPs,…
— Raghav Chadha (@raghav_chadha) April 24, 2026
લોહી-પરસેવાથી સીંચેલી પાર્ટી હવે સિદ્ધાંતોથી ભટકી: રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’
રાઘવ ચઢ્ઢાનો દાવો: ‘આપ’ના દિગ્ગજ નેતાઓએ ભાજપમાં જોડાવા કરી સહી
રાઘવ ચઢ્ઢાના દાવા મુજબ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ સહિતના નેતાઓએ ભાજપમાં જોડાવા માટે સહી કરી દીધી છે. રાજ્યસભામાં ‘આપ’ પાસે કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 પંજાબના અને 3 દિલ્હીના છે. ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સભ્યો હવે ભાજપમાં ભળી જશે.










