![]()
Tragedy in Kutch: કચ્છ જિલ્લાના આદિપુર પાસે આવેલા શિણાય નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ભેડિયામાં પાણીથી ભરેલા એક ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે 22 વર્ષીય પુત્ર અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પુત્રને ડૂબતો જોઈ પિતા પણ પાણીમાં કૂદ્યા હતા, પરંતુ કમનસીબે ઊંડા પાણી અને કાદવને કારણે પિતા પણ પુત્રના મોત થયા.
મળતી માહિતી અનુસાર, આજે(24 એપ્રિલ) સાંજે 4 વાગ્યા આસપાસ દુર્ઘટના બની હતી. અલ્પેશભાઈ પુંજાભાઈ બજરીયા (ઠાકોર) (રહે. મૂળ ખેરાલુ, મહેસાણા) અને તેમનો પુત્ર ગણેશ મૃત્યુ પામ્યા છે. તેઓ બંને અન્ય પરિચિતો સાથે ખાડામાં નહાવા પડ્યાં હતા.
પાંચ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્રની ટીમ દોડી આવી હતી. પિતા-પુત્રની શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે પાંચ કલાક જેટલી ભારે જહેમત અને શોધખોળ બાદ પિતા અને પુત્ર બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. એકસાથે પરિવારના બે આધારસ્તંભો છીનવાઈ જતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.










