![]()
Jamnagar Police : આગામી સમયમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (રાજકોટ રેન્જ) તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જામનગર જિલ્લામાં શરીર સંબંધિત તથા પ્રોહીબિશન ગુનાઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ “પાસા” હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જામનગર શહેર અને જોડિયા પંથકમાં રહેતા પાંચ આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી.પંડ્યા સમક્ષ મોકલવામાં આવતા તેઓ દ્વારા પાસા વોરંટ જારી કરવામાં આવ્યા હતા.
આ વોરંટની બજવણી પો.સબ ઇન્સ. તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની બીપીનભાઈ વસ્તાભાઈ વકાતર જે પ્રોહીબિશન ગુનાઓમાં સંકળાયેલા છે, જેની પાસા હેઠળ અટકાયત કરી લઈતેને સાબરમતી, અમદાવાદ જેલમાં મોકલી દેવાયો છે.
આ ઉપરાંત મનીષભાઈ રમેશભાઈ દામા (રહે-નંદનવન-1, રણજીતસાગર રોડ, જામનગર) જે પ્રોહીબિશન ગુનાઓમાં સંકળાયેલા છે, તેને સાબરમતી, અમદાવાદ જેલમાં, કુલદીપસિંહ લાલુભા જાડેજા (રહે-પુનીતનગર, ગાંધીનગર, જામનગર) જે શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા છે, તેને સાબરમતી, અમદાવાદ જેલમાં, શક્તિસિંહ લાલુભા જાડેજા (રહે-પુનીતનગર, ગાંધીનગર, જામનગર) જે શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા છે તેને વડોદરા જેલમાં અને ભરતભાઈ મનસુખભાઈ પરમાર (રહે-ગુલાબનગર સિન્ડિકેટ સોસાયટી, જામનગર) જે શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા છે, જેની પણ અટકાયત કરી લઈ તેને લાજપોર, સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જામનગર જિલ્લા પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.










