Gujarat Summer Tourism: ગુજરાતમાં ઉનાળાની રજાઓ પડતા જ પ્રવાસીઓ ગરમીથી બચવા અને વેકેશનની મજા માણવા માટે બેસ્ટ સ્થળો શોધતા હોય છે. એપ્રિલથી જૂન દરમિયાન રાજ્યમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા અને દીવ જેવા આકર્ષણો પર અંદાજે 1.35 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે. જો તમે પણ આ ગરમીમાં ઠંડક અને શાંતિ શોધી રહ્યા હોવ, તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા શ્રેષ્ઠ વિકલ્પ છે.
સાપુતારાના ગાઢ જંગલો, સાપુતારા લેક અને સનસેટ પોઈન્ટ મનને તાજગી આપે છે. આ ઉપરાંત, વલસાડ પાસે આવેલું વિલ્સીન હિલ્સ પણ શાંતિપ્રિય પ્રવાસીઓ માટે એક સુંદર અને ઓછી ભીડભાડ ધરાવતું સ્થળ છે, જ્યાં કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકાય છે.
ભક્તિ અને પર્યટનનો સંગમ ઈચ્છતા લોકો માટે
સોમનાથ અને દ્વારકા
અહીં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને અહીં સવાર-સાંજ દર્શન કરવા પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ રહે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી(કેવડિયા)
નર્મદા કિનારે આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. અહીં વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીમાં રોકાણનો અનોખો અનુભવ મળે છે.
ગીર નેશનલ પાર્ક
વન્યજીવ પ્રેમીઓ માટે ગીર શ્રેષ્ઠ પસંદગી છે. ઉનાળામાં સિંહો પાણીના સ્ત્રોતો પાસે વધુ જોવા મળતા હોવાથી અહીં સિંહ દર્શનની સોનેરી તક રહે છે.
અમદાવાદના લોકપ્રિય સ્થળો
શહેરની અંદર ઉનાળાની સાંજ માણવા માટે સાયન્સ સિટી, કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ ઉત્તમ વિકલ્પો છે.
ગુજરાતના સુંદર અને મનોહર દરિયાકિનારાઓ
દીવ (નાગોઆ બીચ)
દીવ તેના શાંત અને સ્વચ્છ દરિયાકિનારા માટે જાણીતું છે. અહીંનો નાગોઆ બીચ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે, જ્યાં ઠંડી દરિયાઈ લહેરો અને પેરાસેલિંગ જેવી વોટર સ્પોર્ટ્સની મજા માણી શકાય છે. આ ઉપરાંત, અહીંના ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લાઓ પ્રવાસીઓને ઇતિહાસની ઝલક કરાવે છે.
ચોપાટી બીચ, પોરબંદર
પોરબંદરનો આ દરિયાકિનારો દેશના સૌથી સ્વચ્છ બીચમાં ગણાય છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓ દરિયાની મજા માણવાની સાથે નજીકમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થળ ‘કીર્તિ મંદિર’ની મુલાકાત પણ લઈ શકે છે. તે ફેમિલી પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ છે.
આ પણ વાંચો: ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ
માંડવી બીચ, કચ્છ
કચ્છમાં આવેલો માંડવી બીચ તેના અદ્ભુત સૂર્યાસ્ત(Sunset)ના દૃશ્યો માટે જગવિખ્યાત છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારી અને ઊંટ સવારીનો આનંદ માણી શકે છે. બીચની નજીક આવેલો વિજય વિલાસ પેલેસ પણ જોવાલાયક સ્થળ છે.
માધવપુર બીચ, પોરબંદર પાસે
આ બીચ તેના પ્રાકૃતિક સૌંદર્ય અને દરિયાના ઘૂઘવતા મોજા માટે જાણીતો છે. અહીં પ્રવાસીઓ દરિયા કિનારે બેસીને શાંતિનો અનુભવ કરી શકે છે અને સાથે જ સ્થાનિક સંસ્કૃતિ તેમજ પ્રખ્યાત મેળાના ઈતિહાસનો પણ આનંદ માણી શકે છે.
દ્વારકા બીચ
ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ તેના સુંદર દરિયાકિનારા માટે પણ પ્રખ્યાત છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ અહીંના બીચ પર સમય વિતાવીને આરામદાયક થેરેપી જેવો અનુભવ કરે છે.
જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે આ સ્થળોની મુલાકાત લો, તો ઉનાળાની રજાઓને ખૂબ જ યાદગાર અને મનોરંજક બનાવી શકાય છે.






