![]()
Gujarat High Court On Tata Chemicals: જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો.
સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કંપનીને ટકોર
આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે, ‘ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.’
આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને સોંગદનામું તપાસવાનો આદેશ કર્યો છે.
હાઇકોર્ટ સમક્ષ કંપનીની વિવિધ માગ
આ મુદ્દે કંપનીએ કોર્ટને ખાતરી આપી હતી કે, ‘નવી પાઇપલાઇન શરૂ થયા પછી જૂની ઓપન ચેનલ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાશે. આ કારણસર સરકાર દ્વારા જાહેર કરેલા કેટલાક ઓર્ડર અને નોટિફિકેશન્સ રદ કરવામાં આવે, કંપનીને મરિન નેશનલ પાર્ક/સેન્ચ્યુરી વિસ્તારમાં પાઇપ લાઇનની મરામત અને જાળવણી કરવાની પણ મંજૂરી આપો. કંપનીને તેની ફેક્ટરીમાંથી સમુદ્રમાં વેસ્ટવોટર (effluent) છોડવાની પણ મંજૂરી આપો અને સરકાર દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.’ જો કે, આ તમામ માગ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી
હવે 4 મેના રોજ થશે સુનાવણી
સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાના કેસમાં સરકારના પ્રતિબંધ બાદ કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરીને આ માગ કરી હતી. આ અંગે વધુ સુનાવણી હવે આગામી 4 મે 2026ના રોજ હાથ ધરવામાં આવશે.










