Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે વટવાના કુતુબ નગર વિસ્તારમાં એક સનસનાટીભર્યા 34 વર્ષ જૂના મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, કુતુબનગરના પ્લોટ નંબર 10ના એક મકાનમાં વર્ષો પહેલા એક મહિલાની હત્યા કરીને તેની લાશ દફનાવી દેવામાં આવી હતી.
મૃતકનો આત્મા પરેશાન કરતો હોવાનો દાવો
આશ્ચર્યજનક વાત એ છે કે, આ મકાનમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી કોઈ રહેતું નહોતું, કારણ કે સ્થાનિક લોકોમાં એવી માન્યતા હતી કે અહીં મૃતકનો આત્મા પરેશાન કરે છે. જો કે, પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSLની હાજરીમાં મકાનમાં ખોદકામ કરાવતા 20 ફૂટ ઊંડેથી માનવ કંકાળ મળી આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.
દેહવ્યાપાર કરતી હતી મૃતક મહિલા
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, મૃતક મહિલાનું નામ કથિત રીતે ફરજાના હતું, જે મૂળ ધોળકાની રહેવાસી હતી. વર્ષ 1992માં લગ્ન બાદ તે પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારે આબરૂ જવાની બીકે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ ફરજાનાએ સમસુદ્દીન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેની પ્રવૃત્તિઓ ચાલુ રહેતા સમસુદ્દીને તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. સમસુદ્દીને તેના ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું. આ માટે સાલિયા બીબીના ઘરે ખાળકૂવા માટે અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હતો, જ્યાં ફરજાનાની ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને 20 ફૂટ ઊંડે દાટી દઈ ઉપર પ્લાસ્ટર કરી દેવાયું હતું.

DNAથી માનવ કંકાળની તપાસ થશે
પોલીસને મળેલું માનવ કંકાળ ફરજાનાનું જ છે કે કેમ તે સાબિત કરવા માટે હવે DNAનો સહારો લેવામાં આવશે. પોલીસે કંકાળને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યું છે, જ્યાં તેના DNA નમૂના લઈ ફરજાનાના જીવિત ભાઈના DNA સાથે સરખાવવામાં આવશે. આ સમગ્ર કાવતરામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓમાંથી બે, સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું કુદરતી મૃત્યુ થયું છે, જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ હાલ જીવિત છે. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, FSL અને DNA રિપોર્ટ મેચ થયા બાદ જ વિધિવત ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કોર્ટમાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરાશે.
મકાન અગાઉ સાલિયા બીબી હતું
આ ઘટના અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને એક બાતમી મળી હતી કે વટવાના કુતુબનગરમાં પ્લોટ નંબર 10ના મકાનમાં કોઈ મહિલાની હત્યા કરીને લાશ દફનાવી દેવામાં આવી છે. અમે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારમાં બધા જ મકાનો પૈકી એક જ મકાન એવું હતું જ્યાં પાંચ-સાત વર્ષથી કોઈ રહેતું નહોતું, કારણ કે લોકો એવું માનતા હતા કે મકાનમાં મૃતકનો આત્મા તેમને પરેશાન કરે છે અને ત્યાં રહેવા આવનાર પીડાય છે. વધુ તપાસમાં અમને ખબર પડી કે આ મકાન અગાઉ સાલિયા બીબીનું હતું.
શું છે સમગ્ર ઘટના?
અમે ખાનગી રાહે વિગતો મેળવી તો જાણવા મળ્યું કે આ મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની હતી. 1992ની સાલમાં જ્યારે તેની ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ તે એક વર્ષની અંદર પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારના લોકો માટે તેની આ જીવનશૈલીથી આબરૂને નુકસાન થતું હોવાથી, તેમને ફરજાના ક્યાં છે અને શું કરે છે તેમાં કોઈ જ રસ નહોતો અને તેમણે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં નોંધ કરાવી નહોતી. ફરજાના અમદાવાદ આવ્યા બાદ તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ ફરજાનાએ તેની લગ્ન પહેલાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી.
ગળું દબાવી હત્યા કરી, બાદમાં ખાડામાં દફનાવી દીધી
ફરજાનાની આ બાબતોથી કંટાળીને સમસુદ્દીનની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તેણે પોતાના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને અન્ય લોકો સાથે મળીને ફરજાનાની હત્યાનું કાવતરું ઘડ્યું. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર નાણાકીય ઉપકાર હતો, તેથી સમસુદ્દીન અને ફરજાના સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ ઘરમાં ખાળકુવા માટે ખાડો ખોદાવીને તૈયાર રાખ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે બાકીના લોકોએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને તે ખાડામાં તેને દફનાવી દીધી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે અબ્દુલ કરીમે ત્યાં પ્લાસ્ટર પણ કરાવી દીધું હતું.
સાક્ષીને ધમકી આપીને દબાવી દેવાયા હતા
આ બનાવ બન્યો અને લાશ દફનાવવાની તૈયારી ચાલતી હતી ત્યારે રાત્રે સાલિયા બીબીના એક સંબંધી ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે આ પાંચેય જણાને જોઈ લીધા હતા. આ આરોપીઓએ તે સાક્ષીને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ પણ કહેશે તો તેની હાલત પણ ફરજાના જેવી જ થશે. પોતાના જીવના જોખમના ડરથી આ સાક્ષીએ આટલા વર્ષો સુધી આ વાત દબાવી રાખી હતી.
20 ફૂટ ઊંડેથી માનવ કંકાળ મળ્યા
આ બધી પ્રાથમિક માહિતીની ખરાઇ કર્યા પછી, ગઈકાલે અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL તેમજ મેડિકલ એક્સપર્ટની હાજરીમાં તે મકાનમાં ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન અમને 20 ફૂટ ઊંડેથી માનવ કંકાળ મળ્યા છે, જેને સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. આ કંકાળ ફરજાનાના જ છે કે કેમ તે નક્કી કરવા માટે તેના DNA લઈને તેના જીવિત ભાઈના DNA સાથે સરખામણી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત
બે આરોપીઓ કુદરતી રીતે મૃત્યુ પામ્યા
આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા મુખ્ય ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ સાલિયા બીબી અને અબ્દુલ કરીમ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે, જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ જીવિત છે. હાલમાં અમારો મુખ્ય આધાર FSL અને DNA રિપોર્ટ પર રહેલો છે. FSLનો રિપોર્ટ અને DNA મેચ થયા પછી જ ગુનો દાખલ કરવામાં આવશે, આરોપીઓની ધરપકડ થશે અને પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.










