![]()
ખાનગીકરણની નીતિ બંધ કરવા કર્મચારી સંગઠનો મેદાનમાં : આઉટ સોર્સિંગની નિમણૂંકથી ઔદ્યોગિક શાંતિ જોખમાશે
રાજકોટ, : ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઘટતાં જતાં ડ્રાઇવર-કંડક્ટરની કાયમી નિમણુંકના બદલે આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરની ભરતી કરવાની હિલચાલ સામે કર્મચારી સંગઠનો દ્વારા નિગમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે. આઉટ સોર્સિંગની નીતિ ખાનગીકરણને ઉતેજન આપતી હોવાનું જણાવી ત્વરીત કાયમી ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી કરવા માટે નિગમને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
એસટી તંત્રમાં વધતા જતાં ખાનગીકરણ સામે વિરોધ દર્શાવી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય એસટી મજદૂર મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે સત્વરે એસટી તંત્રમાં ડ્રાઇવર અને કંડક્ટરોની ઘટના કારણે કેન્સલેશનનું પ્રમાણ વધતુ જાય છે. તેથી જુદા-જુદા ડિવિઝનમાં ડ્રાઇવર-કંડક્ટરની ત્વરીત ભરતી કરવી જોઇએ. ડ્રાઇવર-કંડક્ટરની ભરતીની જે જટીલ પ્રક્રિયા છે તેને સરળ બનાવવી જોઇએ.
વધુમાં જણાવાયું હતું કે એસટી રૂટના કેન્સલેશન ઘટાડવા માટે ખાનગી એજન્સી મારફતે આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરની ભરતી કરવાથી ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. નિગમના કાયમી કર્મચારીઓ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે. મુસાફરોની ફરિયાદો વધશે. નાણાંકિય ગેરરીતિ અને અકસ્માતની સંભાવના ધર્શાવી આઉટ સોર્સિંગથી ડ્રાઇવર-કંડક્ટરોની નિમણુંક ન થવી જોઇએ. એસટી નિગમની ઔદ્યોગિક શાંતિ જોખમાય તેવા નિર્ણયો લેવામાં આવશે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેમ રજૂઆતમાં જણાવાયું હતું.










