![]()
Ahmedabad Crime News: અમદાવાદના રાજીવ નગર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 52 વર્ષીય નટુભાઈ પરમાર નામના વ્યક્તિ પર ચાર શખસોએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
દર્શન કરી પરત ફરતા સમયે બની ઘટના
મળતી માહિતી મુજબ, મૃતક નટુભાઈ કલાભાઈ પરમાર ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ મેલડી માતાના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તે જ્યારે એક ગલ્લા પાસે ઊભા હતા, ત્યારે પાછળથી આવેલા ચાર હુમલાખોરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર હાલતમાં નટુભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: ધારાસભ્યોને લહેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો
આંતરજ્ઞાતિય લગ્ન અને જૂની અદાવતનું કારણ
મૃતકના બહેને હુમલા પાછળનું કારણ જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેના જણાવ્યા અનુસાર, પરિવારના એક યુવકે બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ બાબતની અદાવત રાખીને યુવતીના કાકા-મામાના છોકરાઓએ ભેગા મળીને નટુભાઈ પર હુમલો કર્યો હોવાની આશંકા છે. જો કે, હુમલાખોરોને તેઓ રૂબરૂ ઓળખતા નથી પરંતુ આ જૂની અદાવતને કારણે જ આ બનાવ બન્યો હોવાનું તેઓનું માનવું છે.
બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને પંચનામાની કાર્યવાહી
ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અત્યારે મૃતકના દેહને પંચનામા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સેટેલાઈટ અને આનંદનગર એમ બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પુત્ર કૌશિક નટુભાઈ પરમારને આ કેસમાં ફરિયાદી તરીકે નોંધવામાં આવ્યા છે.
પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી રહી છે અને તેઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.










