![]()
Chief Minister of West Bengal: પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ હવે સૌની નજર રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ટકેલી છે. મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યા બાદ ભાજપ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. ભાજપ બંગાળી અસ્મિતા, મહિલા નેતૃત્વ કે સંગઠનાત્મક ચહેરામાંથી કોની પસંદગી કરશે તેના પર રાજકીય વિશ્લેષકો નજર રાખી રહ્યા છે.
જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મસ્થળ બંગાળમાં જીત મેળવવી ભાજપ માટે એક મોટું લક્ષ્ય હતું. અમિત શાહે અગાઉ જ વચન આપ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો કોઈ બંગાળી જ મુખ્યમંત્રી બનશે. હવે જ્યારે બંગાળ ભાજપના હાથમાં છે, ત્યારે મુખ્યમંત્રી પદ માટે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.
મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારો
1. શુભેન્દુ અધિકારી
શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીના સૌથી મોટા વિરોધી માનવામાં આવે છે. 2021ની ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જીને નંદીગ્રામમાં હરાવીને જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા. મિદનાપુરમાં તેમનો મજબૂત પ્રભાવ છે અને તેઓ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા હોવાથી પાયાના સ્તરે સંગઠનાત્મક જોડાણ ધરાવે છે. 2021 ના નારદ સ્ટિંગ ઓપરેશન કેસમાં તેમનું નામ હોવું એ તેમની સામેનો એક નબળો મુદ્દો સાબિત થઈ શકે છે.
2. સમિક ભટ્ટાચાર્ય
બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને RSS સાથે ઊંડા અને મજબૂત સંબંધો ધરાવતા નેતા છે. તેઓ પડદા પાછળ રહીને કામ કરવા માટે જાણીતા છે અને પક્ષમાં વિવિધ સામાજિક જૂથોને જોડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં બનશે ‘રાહુલ અને વિજય’ની જોડી? TVKને ટેકો આપવા કોંગ્રેસમાં હલચલ તેજ!
3. મહિલા નેતૃત્વ: અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલી
ભાજપે પોતાની ઝુંબેશમાં મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી, તેથી કોઈ મહિલા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે.
રૂપા ગાંગુલી: બી.આર. ચોપરાની મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવીને જાણીતા થયેલા રૂપા ગાંગુલી આ રેસમાં પ્રબળ નામ છે.
અગ્નિમિત્રા પોલ: ભાજપના અન્ય એક અગ્રણી મહિલા નેતા જે મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે.
4. અન્ય પણ કેટલાક મજબૂત નેતાઓ છે જેમનાં નામ ચર્ચામાં છે.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, નિસિથ પ્રામાણિક અને સુકાંત મજુમદારના નામો પણ ચર્ચામાં છે. સુકાંત મજુમદારે તો ત્યાં સુધી કહ્યું હતું કે, આગામી CM નોન-વેજિટેરિયન હશે, જેથી ભાજપ માંસાહાર પર પ્રતિબંધ મુકશે તેવી મમતાની વાતોનો જવાબ આપી શકાય.
બ્રાન્ડ મોદી પર ભરોસો
ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ 20થી વધુ રેલીઓ કરી હતી. તેમણે બંગાળી સંસ્કૃતિ સાથે જોડાવા માટે ઝાલમુરી ખાવા થી લઈને કાલી મંદિરે જવા અને ફૂટબોલ રમવા સુધીના પ્રયાસો કર્યા હતા. હવે આ વિજયને આગળ ધપાવવા માટે ભાજપ કયા ચહેરા પર મહોર મારે છે તે જોવું રસપ્રદ રહેશે.










