West Bengal BJP Victory: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની ભવ્ય જીત બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે, આગામી 9 મે એટલે કે શનિવારના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ખાસ વાત એ છે કે આ દિવસે રવીન્દ્રનાથ ટાગોરની જયંતી પણ છે, જેને ધ્યાનમાં રાખીને જ ભાજપે આ દિવસની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે. જોકે, મુખ્યમંત્રી પદ માટે કયા નેતાના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત્ છે.
કોણ બનશે બંગાળના નવા મુખ્યમંત્રી?
મુખ્યમંત્રી પદની રેસમાં નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ છે. શુભેન્દુ અધિકારીએ 2021 બાદ હવે 2026માં પણ બીજી વખત મમતા બેનર્જીને હરાવીને પોતાની તાકાત સાબિત કરી છે. આ સિવાય શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામો પણ ચર્ચામાં છે. પક્ષની રાષ્ટ્રીય સંસદીય સમિતિ ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના નામ પર અંતિમ મહોર મારશે.
આ પણ વાંચો: ‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા
દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ અને રાજનાથ સિંહની કોલકાતા મુલાકાત
નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે પીએમ મોદી મંગળવાર અને બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સાથે મહત્ત્વની બેઠક કરી શકે છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કોલકાતા પહોંચીને ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શમિક ભટ્ટાચાર્ય અને શુભેન્દુ અધિકારીને આગામી થોડા દિવસોમાં દિલ્હી બોલાવવામાં આવી શકે છે, જ્યાં કેન્દ્રીય નિરીક્ષકોના ઇનપુટ્સના આધારે નામ નક્કી કરવામાં આવશે.











