![]()
– સબરીમાલા મુદ્દે વકીલોના સંગઠન દ્વારા પીઆઇએલથી સુપ્રીમ નારાજ
– અનેક પ્રકારની પીઆઇએલ થાય છે પણ અમે માત્ર જાહેર હિત સાથેની સાચી અરજી પર જ ધ્યાન આપીએ છીએ : સુપ્રીમ
નવી દિલ્હી : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી એક જાહેર હિતની અરજી ૨૦૦૬માં ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા કરાઇ હતી. જોકે વકીલો માટે કામ કરતી સંસ્થા દ્વારા મંદિરના વિવાદ મુદ્દે પીઆઇએલ કરવા બદલ મુખ્ય ન્યાયાધીશે સંગઠનનો ઉધડો લીધો હતો. સાથે જ કહ્યું હતું કે આજકાલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઇએલ હવે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે.
સબરીમાલા મંદિર સહિતના કેટલાક ધાર્મિક સ્થળો પર મહિલાઓના પ્રવેશ સામે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં નવ ન્યાયાધીશોની બેંચ કરી રહી છે. આ અરજીઓમાં એક પીઆઇએલ ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા ૨૦૦૬માં કરાઇ છે. જેના પર સુપ્રીમની બંધારણીય બેંચે સવાલો ઉઠાવ્યા હતા. સંગઠનના વકીલે એવી દલીલ કરી હતી કે આ પીઆઇએલ જુન ૨૦૦૬ના રોજ અખબારોમાં પ્રકાશિત અહેવાલો આધારીત છે.
બાદમાં જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે રાતોરાત આવી પીઆઇએલ ડિસમિસ કરી દેવી જોઇતી હતી, પીઆઇએલ દાખલ કરવા માટે અખબારોમાં આર્ટિકલો લખાવવા સહેલા છે. જ્યારે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે આમ નાગરિકોને અસર કરતા મુદ્દાઓ પર આધારિત પીઆઇએલની સુનાવણી કરવામાં આવતી હોય છે, કોઇ સમાચારપત્રના આર્ટિકલ માટે નહીં. પીઆઇએલ હવે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન અંગત હિતો માટેની અરજી બની ગઇ છે. પૈસા ઇન્ટરેસ્ટ, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ, પોલિટિકલ ઇન્ટરેસ્ટ બની ગઇ છે. આવી અનેક પ્રકારની પીઆઇએલ થતી હોય છે પરંતુ અમે માત્ર એવી પીઆઇએલને જ સાંભળીએ છીએ જે સાચી હોય. આ સાથે જ સુપ્રીમે વકીલોના સંગઠનને વકીલોના હિતો પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.










