![]()
Powers of the Governor: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકારણમાં કોઈ ફિલ્મી ક્લાઇમેક્સ જેવો વળાંક લાવી દીધો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) એ પોતાની પ્રથમ ઇનિંગમાં જ 108 બેઠકો જીતીને દબદબો તો જમાવ્યો છે, પરંતુ બહુમતીના આંકડાથી દૂર રહેતા રાજ્યમાં ‘ત્રિશંકુ’ સ્થિતિ સર્જાઈ છે. 118 ધારાસભ્યોના સમર્થનનો આંકડો ન હોવાથી વિજયને બે વાર રાજભવનથી પરત ફરવું પડ્યું છે, જેના કારણે અત્યારે દરેક પક્ષ સત્તાની ચાસણી મેળવવા માટે નવા રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે.
શું રાજ્યપાલ વિવેકાધીન સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે?
હવે તમિલનાડુની સત્તાની કઢાઈમાં કોની ‘રાજકીય જલેબી’ ચડશે, તેનો સંપૂર્ણ આધાર રાજભવનમાં રાજ્યપાલ આર. વી. આર્લેકરના નિર્ણય પર ટકેલો છે. આવી જટિલ પરિસ્થિતિમાં જ્યારે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોય, ત્યારે બંધારણ મુજબ રાજ્યપાલ પાસે વિવેકાધીન સત્તાઓ હોય છે. આખા રાજ્યની નજર હવે એ વાત પર છે કે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને તક આપે છે કે ગઠબંધન સરકારની રચના માટે લીલી ઝંડી આપે છે. શું રાજ્યપાલ બહુમતના બહાને સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવતા રોકી શકે? જાણો હવે તમિલનાડુમાં બંધારણીય રીતે કયા કયા વિકલ્પ હોઈ શકે.
1. ત્રિશંકુ વિધાનસભામાં રાજ્યપાલ મુખ્ય ભૂમિકામાં આવી જાય છે.
જ્યારે કોઈ એક પક્ષને બહુમતી મળતી નથી, ત્યારે રાજ્યપાલની ભૂમિકા રેફરી જેવી બની જાય છે. બંધારણની કલમ 163 અને 164 હેઠળ રાજ્યપાલને મુખ્યમંત્રીની નિમણૂક કરવાનો અધિકાર છે, પરંતુ આ અધિકાર ‘મનસ્વી’ નથી. સરકારીયા આયોગે 1988માં તેના અહેવાલમાં સ્પષ્ટપણે તે માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો હતો જેનું પાલન રાજ્યપાલે આવી સ્થિતિમાં કરવું જોઈએ. આ નિયમોનું 2010માં પુંછી આયોગે પણ પુનરાવર્તન કર્યું હતું. આ આયોગો મુજબ, રાજ્યપાલે નીચેના ક્રમમાં પક્ષોને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવા જોઈએ.
-જો ચૂંટણી પહેલા જ કેટલાક પક્ષોએ મળીને ગઠબંધન કર્યું હોય અને તેમની પાસે સામૂહિક રીતે 118 કે તેથી વધુ બેઠકો હોય, તો તેમને સૌથી પહેલા બોલાવવા જોઈએ.
-જો કોઈ ગઠબંધન ન હોય, તો સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ(અહીં TVK)ને તક આપવી જોઈએ, જો તે દાવો કરે કે તે અન્ય પક્ષો અથવા અપક્ષોના સહયોગથી બહુમતી સાબિત કરી શકે છે.
-જો સૌથી મોટો પક્ષ સરકાર બનાવવામાં અસમર્થ રહે, તો ચૂંટણી પછી બનેલા કોઈ નવા ગઠબંધનને તક આપવી જોઈએ.
2. બહુમતી રાજભવનમાં નહીં વિધાનસભામાં નક્કી થાય
ઘણી વખત રાજ્યપાલો પર આરોપ લાગ્યા કે તેમણે રાજભવનના રૂમમાં જ નક્કી કરી લીધું કે કોની પાસે બહુમતી છે અને કોને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ વિવાદને ખતમ કરવા માટે 1994માં સુપ્રીમ કોર્ટે ‘એસ.આર. બોમ્મઈ વિરુદ્ધ ભારત સંઘ’ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈપણ મુખ્યમંત્રી કે પક્ષ પાસે બહુમતી છે કે નહીં, તેનું પરીક્ષણ માત્ર વિધાનસભાના ફ્લોર (ફ્લોર ટેસ્ટ) પર જ થવું જોઈએ. રાજ્યપાલ માત્ર એ જોઈ શકે છે કે કોણ સરકાર બનાવવાનો સૌથી મજબૂત દાવો રજૂ કરી રહ્યું છે. તેઓ તેમની વ્યક્તિગત પસંદ કે નાપસંદના આધારે કોઈને તક આપવાનો ઇન્કાર કરી શકતા નથી.
3. ‘હોર્સ ટ્રેડિંગ’ રોકવાનો પડકાર
ત્રિશંકુ વિધાનસભામાં સૌથી મોટો ખતરો ધારાસભ્યોના ખરીદ-વેચાણ(હોર્સ ટ્રેડિંગ)નો હોય છે. જો રાજ્યપાલ કોઈ પક્ષને બહુમતી સાબિત કરવા માટે ખૂબ લાંબો સમય (જેમ કે 15 કે 30 દિવસ) આપે છે, તો તેનાથી ભ્રષ્ટાચાર અને અનૈતિક રાજકારણને વેગ મળે છે. સુપ્રીમ કોર્ટે હાલના વર્ષોમાં (કર્ણાટક 2018 અને મહારાષ્ટ્ર 2019ના કેસોમાં) આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે જેવી મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવે, તેના 24થી 48 કલાકની અંદર ‘ફ્લોર ટેસ્ટ’ કરાવવો જોઈએ. જેનાથી ધારાસભ્યો પર દબાણ લાવવાનો કે તેમને લાલચ આપવાનો સમય ઘટી જાય છે.
4. જ્યારે રાજભવનના નિર્ણયોના કારણે કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા
ગોવા અને મણિપુર (2017)
આ રાજ્યોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી, પરંતુ ભાજપે નાના પક્ષો સાથે મળીને ચૂંટણી પછી ગઠબંધન બનાવ્યું અને રાજ્યપાલ સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો. રાજ્યપાલે ભાજપને પ્રથમ તક આપી. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો, જ્યાં કોર્ટે કહ્યું કે સંખ્યાબળ સૌથી મહત્વનું છે. જો ચૂંટણી પછીનું ગઠબંધન બહુમતી બતાવી રહ્યું હોય, તો તેને તક આપી શકાય છે.
કર્ણાટક (2018)
અહીં ભાજપ સૌથી મોટો પક્ષ હતો અને રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન તરત જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું. કોર્ટે અડધી રાત્રે સુનાવણી કરી અને રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા સમયને ઘટાડીને માત્ર 24 કલાક કરી દીધો.
મહારાષ્ટ્ર (2019)
અહીં જ્યારે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લીધા હતા, ત્યારે પણ સુપ્રીમ કોર્ટે તરત જ હસ્તક્ષેપ કર્યો અને બીજા જ દિવસે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. કોર્ટે એ પણ ફરજિયાત કર્યું કે વોટિંગનું ‘લાઇવ ટેલિકાસ્ટ’ કરવામાં આવે જેથી પારદર્શિતા જળવાઈ રહે.
5. રાજ્યપાલની ‘વિવેકાધીન’ સત્તાઓ અને તેની મર્યાદાઓ
બંધારણની કલમ 163 રાજ્યપાલને કેટલીક બાબતોમાં પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાની સત્તા આપે છે. પરંતુ ‘રામેશ્વર પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ (2006)’ કેસમાં કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલની આ સત્તા ‘કાયદાના શાસન’ને આધીન છે. રાજ્યપાલ એમ ન કહી શકે કે ‘મને ફલાણા(જે-તે) નેતા પસંદ નથી એટલે હું તેમને નહીં બોલાવું.’ તેમણે માત્ર એ જોવાનું છે કે શું પ્રસ્તાવિત સરકાર સ્થિર હશે અને શું તેની પાસે ગૃહનો વિશ્વાસ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. જો રાજ્યપાલ જાણી જોઈને સૌથી મોટા પક્ષની અવગણના કરે છે, તો તેમના નિર્ણયને ‘દુર્ભાવનાપૂર્ણ’ ગણી શકાય અને તેને કોર્ટમાં પડકારી શકાય છે.
6. તો શું તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે?
શું રાજ્યપાલ સીધા રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે? બંધારણીય નિષ્ણાતોના મતે, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ ત્યારે જ પસંદ કરવો જોઈએ જ્યારે સરકાર રચવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય. જો કોઈ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરે અથવા બહુમતી સાબિત ન કરી શકે, ત્યારે જ કલમ 356નો ઉપયોગ કરવો જોઈએ.
7. તમિલનાડુ સંકટનો સંભવિત ઉકેલ
વિજયની પાર્ટી (TVK) પાસે 108 બેઠકો છે. તેમને બહુમતી માટે વધુ 10 ધારાસભ્યોની જરૂર છે. રાજ્યપાલ આરવી આર્લેકર પાસે હવે આ વિકલ્પો છે
-સૌથી મોટા પક્ષ તરીકે વિજયને બોલાવવામાં આવે અને તેમની પાસેથી સમર્થન આપતા ધારાસભ્યોની યાદી માંગવામાં આવે. તેમને 2-3 દિવસનો સમય આપવામાં આવે જેથી તેઓ ગૃહમાં પોતાની શક્તિ બતાવી શકે.
-જો વિરોધ પક્ષો (DMK, AIADMK અથવા અન્ય) મળીને કોઈ સહિયારુ મંચ બનાવે છે અને 118નો આંકડો પાર કરી લે છે, તો રાજ્યપાલે તે ગઠબંધનના નેતાને બોલાવવા પડશે.
-જો રાજ્યપાલને લાગે કે કોઈ પણ પક્ષ પૂર્ણ બહુમતી બતાવી શકતો નથી, તો તેઓ સૌથી મોટા પક્ષને ‘અલ્પમતી સરકાર’ બનાવવા માટે કહી શકે છે, જે દરેક બિલ પર અન્ય પક્ષોના સહયોગ પર ટકી રહેશે.
આ પણ વાંચો: 118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્યું
લોકશાહીની આકરી પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો માર્ગ
તમિલનાડુનો આ કિસ્સો માત્ર સત્તાની લડાઈ નથી, પરંતુ તે ભારતીય બંધારણીય મૂલ્યોની પરીક્ષા પણ છે. રાજ્યપાલ આરવી આર્લેકરની ભૂમિકા અહીં એક નિષ્પક્ષ હોવી જોઈએ. જેમ કે સુપ્રીમ કોર્ટે ઘણી વખત કહ્યું છે, રાજભવન રાજકારણનું અખાડો ન બનવું જોઈએ.તમિલનાડુના લોકો એક સ્થિર સરકારના હકદાર છે, અને તે માટે જરૂરી છે કે રાજ્યપાલ ‘નિયમોની પુસ્તક’ મુજબ કોઈપણ વિલંબ કે પક્ષપાત વગર પોતાનો નિર્ણય લે. જો આ પ્રક્રિયામાં કોઈ પણ ક્ષતિ રહી જાય, તો ન્યાયતંત્રના દરવાજા તો હંમેશા ખુલ્લા જ છે.










